Tuesday, December 30, 2014

​જ્યારે હિમાલય પણ પોઝ આપે છે


આશુતોષભાઈ બૂચ


        નગાધિરાજ હિમાલય કોને ના આકર્ષે? તેની અદભૂત સુંદરતા ભલભલાને તેની પાસે ખેંચી લાવે છે. એવું જ કશું થયું આશુતોષભાઈ બૂચને. મૂળ જામનગરના અને હાલે વડોદરા રહેતા આશુતોષભાઈને હિમાલયનું એટલું તો પ્રબળ આકર્ષણ છે કે તેમણે હિમાલયના ૭૦૦૦થી પણ વધુ ફોટોઝ લીધા છે. ફોટોગ્રાફી, બાઈકિંગ અને હિમાલયના પોતાના શોખનો તેમણે ખૂબ જ સુંદર સમન્વય કર્યો છે. એટલે કે તેમણે હિમાલયનો મોટાભાગનો પ્રવાસ બાઈક ઉપર કર્યો છે અને ફોટોઝ લીધા છે ! નાનપણથી જ મેકેનીકલ અને ઈલેક્ટ્રીકલ વસ્તુઓ ગમતી. તેમાં વળી મામાએ એક કેમેરો ભેટ આપ્યો અને પછી તો ફોટોગ્રાફીની યાત્રા અવિરત ચાલુ રહી છે.
        આમ પણ તેઓ ચાલવાના ખૂબ શોખીન છે. વડોદરાથી ડાકોર- જે ૬૫ કિમી થાય- દર પૂનમે જાય. વડોદરામાં નવનાથ તરીકે જાણીતાં નવ શિવમંદિરોએ તેઓ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ચાલતા જાય, જે લગભગ ૪૫ કિમી થાય. પછી તો વર્ષ ૧૯૯૭થી ૨૦૦૯ સુધી દર વર્ષે અમરનાથની યાત્રા કરી. તે પણ બાઈક, સ્કૂટર ને ગાડીથી. આ તમામ યાત્રા તેમણે એકલાં જ કરી. તેઓ સહજતાથી કહે છે :   આવી રીતે સાથે આવવા કોણ તૈયાર થાય? વળી હું તો રસ્તામાં આવતાં અન્ય સ્થળો પણ સાંકળતો જાઉં સાથે.
        હિમાલયની પાવનકારી કુદરતી સુંદરતા અને પ્રદૂષણરહિત વાતાવરણે તેમને પ્રભાવિત કર્યા. એટલી હદે કે તેઓ ૧૯૯૭થી અત્યાર સુધીમાં હિમાલયમાં ૫૦,૦૦૦ કિમીનું મોટરસાઈકલ ડ્રાઈવિંગ અને કાર ડ્રાઈવિંગ ૧૫૦૦૦ કિમીનું કરી ચૂક્યા છે ! 

ભૂતાન, સિક્કિમ, તિબેટ અને સ્કાર્ડુ સુધી તેઓ ફરી આવ્યા છે. આશુતોષભાઈનો આટલો પરિચય મેળવ્યા પછી એમની ઉમર જણાવવી જરૂરી લાગે છે. તો અત્યારે તેઓ છે માત્ર ૬૦ વર્ષના. આ વયે પણ તેમનો ઉત્સાહ એટલો જ અકબંધ છે.
        આવો અકબંધ ઉત્સાહ એક બીજા અગત્યના ગુણને આભારી છે. તે છે તેમની હકારાત્મકતા. તેઓ કહે છે કે એટલે જ આ તમામ મુસાફરીઓમાં તેમને કશી તકલીફ નથી પડતી. હા, થોડી ઠંડી જરૂર લાગે, પણ તેને માણવાની પણ મજા આવે. રોડસાઈડના ધાબામાં જમવા મળે એને પણ સારું નસીબ લેખાવતા આશુતોષભાઈ કહે છે કે તકલીફ શબ્દ સાપેક્ષ છે, બાકી તો બધી વ્યવસ્થા કુદરત કરી જ આપે છે અને હિમાલય બહુ દયાળુ છે. તેમને વાહન, તબિયત જેવી કોઈ બાબતે તકલીફ પડતી નથી. કદાચ પગ દુઃખે તો તે દુઃખાવો મટવાનો આનંદ તેઓ માણે છે. સગવડો તેમને જોઈતી નથી કેમ કે અગવડ એ જ એમની સગવડ છે. ફોટોગ્રાફી માટે દસ કિલો જેટલું વજન તેઓ સહજતાથી લઈને ફરે છે. 
        તેઓ એ રીતે પણ નસીબદાર છે કે લુબ્રીકેન્ટસને લગતા તેમના વ્યવસાયની કામગીરી પણ હિમાચલ, ઉત્તરાંચલ અને જમ્મુ-કાશ્મીરમાં છે. બીજું, તેમનાં પત્ની અને ત્રણ સંતાનોનો ખૂબ સહયોગ છે.
ફોટોગ્રાફીમાં તલ્લીન !
        હિમાલયને ખૂબ ચાહતા આશુતોષભાઈનું સપનું પણ હિમાલય વિનાનું નથી. તેમનું સપનું છે કે હિમાલયના ઊંડાણમાં લાકડાનું એક ઘર બનાવીને રહેવું અને સંસારમાં રહીને સાધુ જીવન ગાળવું. એમની હિમાલય અને કુદરત પ્રત્યેની ચાહત જોતાં, આ સપનું સાકાર થશે જ.

(તમામ ફોટો કર્ટસી : આશુતોષભાઈ બૂચ)

Saturday, November 22, 2014

મારી વાત

                  મને (પોતાના) પગ સિવાય બીજું કોઈ વાહન ચલાવતાં નથી આવડતું. તેથી ક્યાંય જવાની જરૂર પડે તો છકડા તરીકે જાણીતાં વાહનનો મોટેભાગે ઉપયોગ કરું છું. જેની સગવડ આખાં ભુજમાં મળી રહે છે.
            આવી રીતે જાહેર વાહનનો ઉપયોગ કરવાથી જાતજાતના લોકો સાથે રોજ જવાનું થાય. એટલે જાતજાતના વિચારો સાંભળવા મળે. ઓબામાએ અમેરિકાનો વહીવટ સારી રીતે કેમ ચલાવવો ત્યાંથી માંડીને ભારતીય ક્રિકેટ ટીમે ક્રિકેટ કેવી રીતે રમવી ત્યાં સુધીનું જ્ઞાન માત્ર પંદર-વીસ મિનિટની સફરમાં મેળવી શકાય. પણ ઘણી વાર એવી વાતો શીખવા મળે કે જીવન પ્રત્યેનો આખો દ્રષ્ટિકોણ બદલાઈ જાય. મને એવા અનુભવો થયા છે. શક્ય છે કે તે તમને પણ બે ઘડી વિચારતા કરી દે..
            એક વાર છકડામાં મારી બાજુમાં એક પ્રૌઢ બહેન બેઠેલાં. પહેલાં તેમણે અમસ્તું જ એક સ્મિત આપ્યું. પછી પૂછ્યું : નોકરી કરો છો? મેં હા પાડી એટલે બીજો સવાલ આવ્યો : રોજ ટિફિન લઈને જતાં હશો કેમ? મારા હાથમાં ટિફિન હતું જ, એટલે મેં એની પણ હા પાડી. તેમણે પૂછ્યું : ક્યાં નોકરી કરો છો? મેં તેના વિષે થોડી વાત કરી. પછી તેમનો નવો સવાલ આવ્યો : મારા ભાઈને શું થયું હતું? એક મિનિટ તો હું સમજી જ નહિ કે એ મને શું પૂછવા માગે છે. પછી સવાલ મગજમાં ઉતર્યો અને સમજાયો એટલે મેં કહ્યું કે મેં લગ્ન જ નથી કર્યાં. તો એ કહે : ઓહ, મને એમ કે તમે કોઈ ઘરેણાં નથી પહેર્યા અને કપડાં પણ આછા રંગનાં છે એટલે.. માફ કરજો હો..
            ત્યારે તો મેં આ વાત હસવામાં કાઢી નાખી. પછી મને થયું કે એ બહેનની જેમ આપણે પણ કેટલી બધી વાર માત્ર વ્યક્તિના બહારના દેખાવ ઉપરથી કેવી કેવી ધારણાઓ બાંધી લેતાં હોઈએ છીએ ! એમાં પણ બહેનોનાં તો કપડાં અને ઘરેણાં ઉપરથી તેનો સામાજિક દરજ્જો અને તે મુજબનું વર્તન પણ નક્કી થાય.
            બહેનો ઉપરાંત પણ, કોઈ પણ વ્યક્તિ માટે આપણે એવું જ કરીએ છીએ. વ્યક્તિનો ધર્મ, જ્ઞાતિ, શહેર-ગામની વ્યક્તિ છે કે તે પણ નક્કી કરીને, તે મુજબ તેમાં આપણા પૂર્વગ્રહો અને ધારણાઓ ઉમેરીને, શુંને શું વિચારી લેતાં હોઈએ છીએ. અમુક જ્ઞાતિ એટલે આવી, અમુક ધર્મ એટલે આવું જ હશે, ગામડાંના છે એટલા આવા હશે, અભણ લાગે છે તો આમ જ કરશે, મજૂર જેવા દેખાય છે, તો પાકીટ સાચવજો.. આવું તો કેટલુંય...
            પણ ખરેખર કોઈ પણ વ્યક્તિ કેવી છે એ આપણે આવી રીતે માત્ર બહારથી જોઇને, ધારણાઓ બાંધીને નક્કી કરી શકીએ ખરાં? આપણા પોતાના વિષે કોઈ આવી રીતે નક્કી કરી લે અને વર્તન પણ તે મુજબ કરે, તો આપણને તે ના જ ગમે.
            આવી રીતે બીજી એક ઘટનાએ મને બીજો એક વિચાર આપેલો. એક વાર છકડામાં મારી સામે બે યુવાનો બેઠેલા. ના, કોઈ પૂર્વધારણા ના બાંધશો...એમણે કોઈ છોકરીની મસ્તી નહોતી કરી. એમાંથી એક યુવાનને દાઢી ઉપર નાની પણ ગંભીર ઈજા થઇ હતી. પટ્ટી બાંધેલી હતી. રસ્તાને લીધે જરા આંચકો આવે કે તે ખોંખારો પણ ખાય તો તેને ખૂબ પીડા થતી હતી. એકાદ વાર તો એની આંખમાં આપોઆપ પાણી પણ આવી ગયું.
            તેઓ તો એક હોસ્પિટલ પાસે ઉતરી ગયા, પણ મને વિચાર આવ્યો કે મારા જેવી બોલકણી વ્યક્તિને આવી કોઈ ઈજા થાય અને મોઢું બંધ રાખવું પડે તો તો તકલીફ થઇ જાય ! એના પછી મને તરત બીજો વિચાર આવ્યો કે અરે, મને તો ક્યારેય આવી કોઈ ગંભીર ઈજા થઇ જ નથી. બે-ત્રણ અકસ્માતોમાંથી પસાર થઇ છું, મારી કામગીરીમાં પણ મોટાભાગે ફરવાનું રહે છે. છતાં, મને એવી ઈજા નથી થઇ કે મારા શરીરનો કોઈ ભાગ થોડા દિવસ માટે કામ ના કરી શકે. ના તો ક્યારેય ફ્રેકચર કે એવી કોઈ ઈજા થઇ છે. એટલું જ નહિ, એવી કોઈ ગંભીર બીમારી પણ નથી આવી કે દવાખાનામાં દાખલ થવું પડે, પરિવારના લોકોને દોડાદોડી કરવી પડે. એનાથી આગળ મને એવો વિચાર આવ્યો કે માત્ર મને જ નહિ, મારા પરિવારના કોઈ સભ્યને પણ આવી કોઈ તકલીફ નથી પડી કે નથી કોઈને ગંભીર રોગ.
            મને લાગ્યું કે હું સાવ નગુણી છું કે આવી સરસ ભેટ માટે મેં કુદરતનો ક્યારેય આભાર પણ નથી માન્યો. કેમ કે આ જ છકડાઓમાં મેં લોકોને બહુ જ દુઃખી હાલતમાં દવાખાને જતા જોયા છે. ક્યારેક દવાખાને જવાનું થાય તો તકલીફોથી પીડાતા જોયા છે. પૈસા ના હોવાથી, ગમે તેટલી જરૂરી દવા પણ ના ખરીદતા લોકો જોયા છે. જયારે કદાચ મને કોઈ ગંભીર બીમારી આવે તો મારી પાસે તો પૈસા પણ છે.
            કુદરત આપણને કેટલું બધું આપે છે ! પણ આવી રીતે મેં તો ક્યારેય વિચાર્યું નહોતું, જ્યાં સુધી મેં પેલા ભાઈને જોયા નહોતા. કેટકેટલું છે, જે મને સહજતાથી મળ્યું છે. સારી તંદુરસ્તી અને કોઈ પણ ખોડ-ખાંપણ વિનાનું શરીર, સારો પરિવાર, સમજુ અને પ્રેમાળ મિત્રો, સારી નોકરી, સારા સાથી કાર્યકરો.....

હવે મને મારા માટે ને મારા પરિવાર માટે રોજ આવી કોઈ ભેટ દેખાય છે અને તે માટે હું કુદરતનો આભાર માનવાનું ચૂકતી નથી..
        

Wednesday, November 5, 2014

માણસ છે, બિઝનેસ કરે છે.

કૃષ્ણ દવે 
પતંગિયાની પાંખો છાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બિઝનેસ કરે છે.

અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને,
પોતે તડકો થઈને વ્યાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

સંબંધોની ફાઈલ રાખી ને ચહેરા પર સ્માઈલ રાખી,
લાગણીઓ લેસરથી કાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

શબ્દ શબ્દને વાટી વાટી, અર્થોનું કેમિકલ છાંટી,
જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે, બિઝનેસ કરે છે.

કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
માગે તે ટહુકા આલાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ફૂંક લગાવી હસતાં હસતાં,
જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

પોતાનું આકાશ બતાવી, સૂરજ, તારા, ચન્દ્ર ગણાવી,
વાદળ ફૂટપટ્ટીથી માપે, માણસ છે, બિઝનેસ કરે છે.


Monday, October 27, 2014

મારી વાત


મોટે ભાગે આપણને બધાં પાસેથી એવું વધારે સાંભળવા મળે છે કે દુનિયા બહુ ખરાબ થઇ ગઈ છે. કોઈ ઉપર ભરોસો રાખવા જેવું નથી રહ્યું. પણ ક્યારેક અચાનક એવા અનુભવ થઇ જાય છે કે માનવજાત ઉપરથી ડગી ગયેલો વિશ્વાસ ફરી સ્થિર થઇ જાય.

        એક વાર હું મારાં શહેર ભુજથી ૫૦ કિમી દૂર આવેલ માંડવી ગામ જઈ રહી હતી. ત્યાંથી પાછાં આવતાં સાંજ થઇ ગઈ. માંડવીથી ભુજ વચ્ચે તુફાન ગાડીઓ ફેરા કરે. હું તેના સ્ટેન્ડ પાસે ઉભી હતી. એક ડ્રાઈવર મને પૂછી ગયા કે ભુજ જ જવું છે કે નહિ. ત્યાં એક સાવ ખાલી ગાડી પસાર થઇ. હજી તો હું તેના ડ્રાઈવરને પૂછવા જાઉં ત્યાં પેલા ડ્રાઈવરે આવીને મને રોકી અને કહે : બહેન, આમાં ના જશો . કેમ કે આ અમારી રોજિંદી લાઈનની ગાડી નથી. કોઈ અજાણ્યો ડ્રાઈવર છે.

        હું ફરી વાહનની રાહ જોતી ઉભી. પેલા ડ્રાઈવર મારી પાસે આવ્યા અને કહે : જો મારી ગાડી ભરાય તો તમને કહું છું. નહિ તો હજી છેલ્લી એસટી છે, તેમાં જતા રહેજો.  પણ કોઈ ગાડી તો આવી નહિ. અંધારું વધતું જતું હતું. ત્યાં ફરી એ ડ્રાઈવર આવ્યા અને કહે : હવે લાગતું નથી કે ભુજ માટે પેસેન્જર મળે. અહી હવે બહુ વસ્તી નથી. તમે અહી એકલા ના ઉભશો. હું તમને બસ સ્ટેન્ડ મૂકી જાઉં. ત્યાં લોકો હશે અને છેલ્લી બસ પણ હમણાં જ્ આવશે.

         એ ભાઈ મને એકાદ કિલોમીટર દૂર આવેલા બસ સ્ટેન્ડ પાસે પોતાની તૂફાનથી મૂકવા આવ્યા. નસીબજોગે બસ આવી ગઈ હતી. ભાઈએ મને ત્યાં ઉતારી. મેં એમનો આભાર માન્યો અને કેટલ પૈસા આપવાના તે પૂછ્યું. તો તેઓ કહે : બહેન, આટલામાં પૈસા લેવાય? એમાં શું? તમે આમ એકલાં ઉભા હો અને હું ત્યાં હોઉં તો તમે મારી જવાબદારી બની જાઓ. એટલે જ્ મેં તમને અજાણી ગાડીમાં જવાની ના પાડી. હવે તો તમે અહી વસ્તીમાં છો તો ચિંતા નથી. હવે હું ઘરે શાંતિથી જઈશ.
       
આવા ઘણા અનુભવ થયા છે અને શ્રદ્ધા છે કે થતા રહેશે. હું એ બધા અનુભવોને અહી મૂકતી રહીશ. આશા છે કે એ વાંચીને માનવજાત ઉપરનો આપણા સહુનો વિશ્વાસ અતૂટ રહેશે. એટલું જ નહિ, આપણે પણ કોઈને આવી રીતે યથાશક્તિ ઉપયોગી થવાની વૃત્તિ રાખીને તેમનો વિશ્વાસ ટકાવી રાખવા માટે કારણભૂત બની શકીએ.....


        

Tuesday, October 7, 2014

સાર્થક જલસો : સાચા અર્થમાં વાચનનો જલસો




માવાની મીઠાઈઓ, ફિલ્મી કલાકારોની દિવાળીની ઉજવણી, ઘરની સજાવટ અને મુખપૃષ્ઠ ઉપર કોઈ ફિલ્મી હિરોઈનનો ફોટો..... આવી જ ચીલાચાલુ સામગ્રી લઈને મોટા ભાગના સામયિકોના દિવાળી અંક આવતા હોય છે.


પણ તેમાં અલગ ચીલો પાડ્યો છે સાર્થક પ્રકાશનના "સાર્થક જલસો"એ... એકદમ અલગ જ પ્રકારની વાચનસામગ્રીનો રસથાળ છેલ્લી બે દિવાળીથી વાચકોને સંતોષ આપે છે. લેખો પણ નવા અને લેખકો પણ નવા, વિષયવસ્તુ તો વળી સાવ જ અલગ.. ખૂબ સુંદર સજાવટ. વાચનસામગ્રીના ભોગે જાહેરાત નહિ. કિમત કોઈને પણ પોસાય એવી.


વાંચવાનું મન થાય અને પ્રિયજનોને ભેટ આપવાનું પણ મન થાય એવો આ  "જલસો"નો અંક આવી ગયો છે.
ઝટ વાસી થઇ જાય એવા નહીં, પણ ઉત્તમ પુસ્તક જેવી લાબી આવરદા ધરાવતા અને એક વાર વાંચ્યા પછી ફરી ગમે ત્યારે, વારંવાર વાંચતાં એટલો જ આનંદ આપે એવો લેખો ’સાર્થક જલસો’ની ખાસિયત છે.
અંક મંગાવવા માટેની લિન્ક
http://gujaratibookshelf.com/index_detail.php?bookn=6393
L

Sunday, October 5, 2014

સાચવી રાખો

-ગૌરાંગ અમીન
ડાળમાં તિખારો સાચવી રાખો 

રાખમાં ધુમાડો સાચવી રાખો

આપવા ભરોસાપાત્ર રસ્તાને 

ચાલમાં વિસામો સાચવી રાખો

અર્થપૂર્ણ આગાહી વહેંચી દો

શબ્દમાં ચુકાદો સાચવી રાખો

ક્યાંક સ્વપ્નમાં અંદાજ આવે તો 

આંખમાં પુરાવો સાચવી રાખો

તું કહે અને હું સાંભળું બોલી 

મૌનમાં વિચારો સાચવી રાખો

જાણતા હો તે જાણવું પડે ત્યારે 

પ્રશ્નમાં જવાબો સાચવી રાખો

વત્સ, લાગ સામે લાગ લાગે છે

હાથમાં ઘસારો સાચવી રાખો

Thursday, October 2, 2014

લાલકોરબાની યાત્રા

લાલકોરબાની યાત્રા

આશાપરથી ઈટાલી
સોય - દોરાના સંગાથે

        કોઈ સ્ત્રી એમ કહે કે લગ્નનાં દોઢ વર્ષમાં જ મારા પતિ મૃત્યુ પામ્યા ત્યારે સાંભળનારને જરૂર સહાનુભૂતિ થાય. જ્યારે એ સ્ત્રી એમ ઉમેરે કે વિધવા થઈ ત્યારે મારી ઉમર હતી ૧૪ વર્ષ. ત્યારે તો સાંભળનારને અરેરાટી થઇ જાય.

        આ કોઈ ટી.વી. ધારાવાહિકની વાત નથી. આ સત્યઘટના છે લાલકોરબાનાં જીવનની. કચ્છ જિલ્લાના લખપત તાલુકાનાં આશાપર ગામનાં વાતની અને જીવનનાં પચાસ વર્ષ વટાવી ચૂકેલાં લાલકોરબા પોતાનાં જીવનની આ દુ:ખદ યાદોમાં ખોવાઈ જતાં થોડાં ઉદાસ થઈ જાય છે.૭૧ની લડાઇ સમયે પાકિસ્તાનમાંથી પહેરેલે કપડે ભાગી છૂટેલા આ સોઢા પરિવારો પાસે કંઈ જ મૂડી નહોતી. કુટુંબની નબળી આર્થિક સ્થિતિને લીધે લાલકોરબાનાં લગ્ન તેમનાથી સોળ વર્ષ મોટા, ક્ષયપીડિત પુરૂષ સાથે થયેલાં.જે લગ્નના દોઢ વર્ષમાં જ અવસાન પામ્યા. હવે કુટુંબમાં તો બે દેર સિવાય કોઈ જ નહોતું. તેઓ ત્રણે અન્ય કુટુંબો સાથે ભારત આવવા પગપાળા નીકળી પડ્યાં. ઊંટ હતા પણ તેના ઉપર ગર્ભવતી અને નાનાં બાળકોવાળી સ્ત્રીઓ બેસતી. દરરોજના પાંચ ગાઉ કાપીને તેઓ સહુ પંદર દિવસે રાજસ્થાન પહોંચ્યાં.રસ્તાની હેરાનગતિની તો વાત જ ન થાય. ખાવા-પીવા-સૂવા, શેનાંય ઠેકાણાં નહીં.
        રાજસ્થાનથી ગુજરાતના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાનાં બિબ્બર ગામમાં ગયાં.ત્યાં પણ ઠરીઠામ થવાય એવું ન હોતાં, લખપત તાલુકાનાં કુરિયાણી અને ત્યાંથી માતાના મઢ ગયાં.છેવટે સાથેનાં પશુધન માટે કરીને,આશાપર ગામમાં તળાવ હોવાથી ત્યાં રહેવાનું નક્કી કર્યું.પહેલાં થોડા લોકોએ આશાપરમાં જાતે જ ભૂંગા બનાવ્યા અને પછી સહુ ત્યાં રહેવા ગયા.
        લાલકોરબાને પોતાની કોમના રીતિરિવાજોની મર્યાદા હોવાથી તેઓ બહાર કાંઈ કામ કરવા તો જઈ શકે તેમ નહોતાં. તેથી હાથનો હુન્નર એવું ભરત વેંચવાનું શરૂ કર્યું.ત્યારે કોઇનો ટેકો હતો નહીંવચેટીયાઓ આવે અને જેટલા પૈસા ચૂકવે તેનાથી સંતોષ માનવો પડતો. લાલકોરબાને પોતાની કોમનું પકો ભરત આવડે. પછી તેઓ હરિજન કોમનું નેરણ ભરત પણ શીખ્યાં.
        એ સમયે ત્યાં કચ્છ મહિલા વિકાસ સંગઠન નામની સંસ્થાનાં કાર્યકરો આવતાં. લાલકોરબાએ તેમની સાથે જોડાણ કર્યું.બીજાં કારીગર બહેનો પણ સંકળાયાં.આ સંસ્થા ભરતની ગુણવત્તા જળવાય તેની ખૂબ ચોકસાઈ રાખતી. તેમાં જરાય બાંધછોડ કરવામાં આવતી નહીં. એટલે ધીમેધીમે બીજાં કારીગર બહેનોએ કામ મૂકી દીધું. પણ લાલકોરબાએ કામ ચાલુ રાખ્યું.તેઓ આશાપરથી દયાપરની ઓફિસે જતાં થયાં.ઘણીવાર તેઓ માતાના મઢથી આશાપર એટલે કે ૧૮ જેટલા કિ.મી.ચાલતાં જતાં. કુટુંબનો તેમને ટેકો હતો.ગામલોકો ટીકા કરતા પણ સાથે એ પણ સમજતા કે લાલકોરબાને પૈસાની ખૂબ જરૂર છે.
        અત્યારે લાલકોરબા સંસ્થામાં બે દાયકા જેટલો સમય પૂરો કરવાની નજીક છે. હવે તેઓ ભરતકામની સાથે બચત, શિક્ષણ,આરોગ્ય અને કાયદાના મુદ્દે પણ કામગીરી કરે છે. એક સમયે ઘરની બહાર પણ ના નીકળનાર લાલકોરબા કારીગર પ્રતિનિધિ તરીકે વિવિધ પ્રદર્શનોમાં બેંગલુરૂ, પૂના, દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ, કલકત્તા જઈ આવ્યાં છે. એટલું જ નહીં, ઈટાલી પણ જઈ આવ્યાં છે. ત્યાં "આ મશીનનું ભરત છે" તેમ માનતા લોકો સામે તેમણે ભરત ભરીને બતાવ્યું હતું.
        તેઓને પાસપોર્ટ માટે ઘણી તકલીફો પડી હતી.આશાપર ગામનાં બહેનોએ તો લાલકોરબાને પાસપોર્ટ મળી જાય તે માટે માનતાઓ રાખી હતી ! લાલકોરબા માટે આ પાસપોર્ટ બેવડી ખુશી લઈ આવેલો. કેમ કે, તે ઈટાલીની સાથે લાલકોરબાને પોતાના પરિવારને મળવા માટેનો પણ પરવાનો હતો. ૧૯૭૧ પછી પહેલીવાર લાલકોરબા પાકિસ્તાનમાં રહેતાં પોતાનાં કુટુંબને મળવા જઈ શક્યાં. એ માટે તેઓ સંસ્થાનો અને તેના કાર્યકરોનો ખૂબ આભાર માને છે. કેમ કે તેઓ ના હોત તો પાસપોર્ટ મેળવવો લગભગ અશક્ય બની જાત.
        પોતાની કોમ અને પોતાના જ વિસ્તારના લોકો સાથે કામ કરવું ઘણું અઘરું હોય છે. ખાસ કરીને જ્યારે તે કામ સાથે પૈસા જોડાયેલા હોય. પણ, લાલકોરબા આ કસોટીમાંથી સાંગોપાંગ પાર ઉતર્યાં છે.તેઓ પોતાની દેરાણી કે ભત્રીજીનાં ખરાબ ભરતના પૈસા એક પણ ક્ષણ વિચાર્યા વિના કાપી લે છે.યોગ્ય ના લાગે તો તેમને કામ ના પણ આપે કે ના તો સંસ્થાને એમ કરવાની ફરજ પાડે. એટલે જ આખાં લખપતમાં તેમનું ખૂબ જ માન છે. ગામનાં અન્ય બહેનો તથા લખપતનાં ૧૫ ગામો લાલકોરબાને લીધે જ સંસ્થા સાથે જોડાયાં છે. હવે તો તેઓ જરૂર પડે ગામોમાં રાત પણ રોકાય છે. આશાપરની બહેનોના ઘરના લોકો લાલકોરબા સાથે હોય છે એટલે જ પોતાની બહેનોને ગમે ત્યાં જવા આપે છે.
        લાલકોરબા કોઈથી ગભરાતાં નથી. લોકો શું કહેશે? તેવું વિચારતાં નથી.પોતાનાં વિધવા દેરાણીને આંગણવાડી સંભાળવા તૈયાર કર્યાં છે. તેઓ માને છે કે :"બારે નીકળીને કાંઈ ખરાબ ના થાય. આપણામાં તાકાત હોવી જોઈએ.સમાજનો સામનો તો કરવો પડે." એક સમય હતો જ્યારે તેમને કોઇ પૈસા ઉધાર આપવા તૈયાર નહોતું. હવે લાલકોરબા પાસે લોકો પૈસા ઉધાર લેવા આવે છે.તેઓની ખાસિયત છે કે કોઇ કામને નાનું ન ગણવું.
એટલે જ ગામનાં આગેવાન હોવા છતાં તેઓ સંસ્થાના કાર્યકરના સ્તરનું કામ કરી લે છે. તેમને કચ્છ કૌશલ્યા પારિતોષિક પણ મળેલું છે. એટલું જ નહીં, કચ્છ મહિલા વિકાસ સંગઠનના હસ્તકલા યુનિટ કસબ સાથે લાલકોરબાનો એવો તો દિલનો નાતો છે કે કસબની કારોબારીમાં તેમને ગામની બહેનોએ પસંદ કર્યાં છે.

        લાલકોરબામાં પણ ઘણાં દૂષણો,વ્યસનો હતાં. તેની સાથે લડીને અને સંસ્થાના કાર્યકરોના ટેકાથી તેમાંથી તેઓ બહાર આવી ગયાં છે.પોતે તો આગળ વધ્યાં જ,સાથે બીજાં બહેનોને પણ આગળ લાવવામાં તેમનો મોટો ફાળો છે.
('કચ્છમિત્ર' દૈનિકમાં 'સાફલ્યગાથા' કોલમ તરીકે પ્રકાશિત)




Wednesday, October 1, 2014

આવકાર

દર્દનો અણસાર આંખનો આઈનો કાગળે

તર્યા કૂંણા છોડ થઈ પ્રશ્નો શબ્દમાં કાગળે
ભર્યા સૂણાં મોડ લઈ ઉતર્યા આભલા કાગળે
ફરે સંગે જોડ થઈને જાગે તારલા કાગળે
હાર્યા હાંફી પતંગિયા જાણ પગલાં કાગળે
નૌકા મારી હાંકવાને કુંવર કાનજી કાગળે
------રેખા શુક્લ

તડપાવે જિંદગી ,તોય માંગી જિંદગી

બધુજ તુજ થી, વ્હાલે માંગિ જિંદગી

આર્ટ-હાર્ટ જિંદગી, તોય ગ્રે જિંદગી
ગીત-નૄત્ય કાવ્ય, તાલ ફૂંકે જિંદગી

પરપોટો દુઃખાડે, જીવ ફોડી જિંદગી
ફુલ ફોરમ પાંખડી, અશ્રુભીની જિંદગી
---રેખા શુક્લ

કેમ કહું કે મુલાકાત નથી થતી રે

રોજ મળીયે છીએ ને વાત નથી થતી રે

ચુપ કહુ અશ્રુ ને કે તારી યાદ વરસે રે
શું તારી આંખો થી પણ બરસાત નથી થતી રે

આહટ ક્યા જોવે છે અરિસો કદિયે  રે
દિલ મા આવન-જાવન મોટી વાત રે

જ્યારે મળે ત્યારે પૂછે છે કેમ છો રે 
એનાથી વધુ તો કોઈ વાત નથી થતી રે
---રેખા શુક્લ

આવકાર

અન્ય મિત્રોની રચનાઓને આવકાર છે અહીં..

તમારી રચનાઓ અહી મોકલશો.

uttudholakia@gmail.com

બત્રીસ કોઠે હાસ્ય : અનાયાસ હાસ્ય..


હાસ્ય પ્રયત્નપૂર્વક ઉપજાવવું પડે ત્યારે હસવું ન આવે. હાસ્ય જ્યારે સ્વયંભૂ નીપજી આવે ત્યારે હસવું રોકાય નહિ. કમનસીબે બીજા પ્રકારના હાસ્યલેખકોની સંખ્યા સતત ઘટતી રહી છે. આવું લખનારને શ્લેષવાળી સસ્તી શબ્દરમત, પત્નીનાં પાત્રને ઉતારી પાડવું, પોતાની જાતને મૂર્ખ અને ડફોળ ચીતરીને જાતની ખીલ્લી ઉડાડવી જેવી બાલીશ વસ્તુઓ નથી કરવી પડતી. ઉર્વીશ કોઠારી લિખિત 'બત્રીસ કોઠે હાસ્ય', બીજા પ્રકારમાં આવે છે. 
ઉર્વીશ કોઠારી
          આપણી રોજબરોજની જિંદગી મોટેભાગે સામાન્ય અથવા રૂટીન હોય છે. પણ ઉર્વીશભાઈ તેમાંથી અસામાન્ય હાસ્ય નીપજાવી શકે છે. આ પુસ્તકમાંના ૩૪ લેખ તેની સાબિતી છે. પાણીપૂરી ના ખાધી હોય એવી વ્યક્તિઓ આંગળીને વેઢે ગણાય તેટલી હશે. ઘરમાં ઘૂસી ગયેલો ઉંદર પકડવાની કોશિશ કરી હોય તેવા ઢગલાબંધ વ્યક્તિઓ મળશે. બેસણાંમાં પણ આપણામાંથી દરેક વ્યક્તિ ગઈ જ હશે. શિયાળાની કડકડતી ઠંડીમાં સવારે ફરવા જનારા પણ આપણામાંથી  મળી જશે. હોટેલમાંથી પાર્સલરૂપે જમવાનું ઘરે મંગાવનારા લોકોમાં આપણે પણ આવી જતા હોઈશું.
       બસ, આવા જ સાવ સામાન્ય અને ઘરેલુ કહી શકાય તેવા વિષયોમાં ઉર્વીશભાઈએ હાસ્ય પૂરીને, તેને અસામાન્ય બનાવ્યા છે. એટલી હદે કે વાચકને પોતાના જ જીવનની એ વાત છે એવું લાગે. લેખની ઘટનાને તાદૃશ (વિઝ્યુલાઈઝ) અનુભવી શકાય એટલી તેમાં જીવંતતા છે.
       શીર્ષક પણ ખૂબ આગવાં કહી શકાય તેવાં છે. માત્ર અનુક્રમણિકા જોવા જ પુસ્તક હાથમાં લીધું હોય અને આખું વાંચવું પડે તેવી ઉત્કંઠા ઉભી કરવામાં શીર્ષકો સફળ રહ્યાં છે. તેમાં ઉપયોગમાં લીધેલા શબ્દો ખૂબ જાણીતા હોવાનો ખ્યાલ આપે. થોડાં ઉદાહરણ :
એન્ટર,સ્પેસ,કંટ્રોલ, ગીત ગાયા મચ્છરોને, લસ્સી જૈસી કોઈ નહિ, જૂતાં તમારાં ઉતારો હો રાજ, રેઇનકોટ : ફિર ભી રહેગી નિશાનિયાં..
       આવાં સ-રસ શીર્ષકોથી શરૂ થતો દરેક લેખ વાચકને એકલાંએકલાં, આયાસ વિના સહજપણે હસાવી શકવાની શક્તિ ધરાવે છે. લેખની ભાષા, ઉદાહરણ, કટાક્ષ, વર્ણન, સરખામણી, જીવંતતા તો તેને વાંચીને માણવાથી જ અનુભવી શકાય. છતાં, થોડો આસ્વાદ એનો પણ.
       -  બેઠાં બેઠાં ઊંઘાય? આવો સવાલ ઓફિસમાં પૂછવામાં જોખમ છે. બોસ આ સવાલ અને તેના પૂછનારની સામે ઘૂરકિયું કરીને કહેશે, આ ઇન્ક્વાયરી છે કે પરમિશન? ઇન્ક્વાયરી હોય તો કહેવાનું કે હા, મારાથી ઊંઘાય. અને પરમિશન હોય તો, સોરી, તમારાથી ના ઊંઘાય.
       - આ સંવાદ સાંભળીને, ઘરમાં બેઠેલા ચંપલચતુર કે બૂટબહાદુરને ધરતી મારગ આપે તો તેમાં સમાઈ જવાનું નહિ, પણ તેમાં પોતાના બૂટ-ચંપલ સંતાડી દેવાનું મન થઇ જાય છે.
- જીવદયાપ્રેમીઓ મનુષ્ય સિવાયના કોઈ પણ જીવ ઉપર દયાનાં ડબલાં ઢોળવા તત્પર હોય, એવા કપરા સમયમાં ઉંદરને જીવતો પકડવાનું પરાક્રમ, કેટલીક યુનિવર્સીટીઓના પોસ્ટલ કોર્સની જેમ ઘર બેઠે પાર પાડી શકાય છે. તેમાં કાયદો નડતો નથી અને સમાજ આડે આવતો નથી.
- શટલનો સંબંધ વાહનના બાહ્ય સ્વરૂપ સાથે નથી. એ સ્ટેટ ઓફ માઈન્ડ છે. કોઈ પણ વાહન તેના ડ્રાઈવરની ઈચ્છા વિરુદ્ધ શટલ બની શકતું નથી અને ડ્રાઈવર ઈચ્છે તો કોઈ પણ વાહનને શટલ બનાવી શકે છે.
       સાદી કોથળીનો પણ બોમ્બ જેવો ઉપયોગ થઇ શકે છે તેની સાબિતી અહી મળે છે. મોર્નિગવોક કરનારાઓની માનસિકતા અને તેમના ઘરના સભ્યોની વિચારધારા ખૂબ સરસ રીતે વ્યક્ત થઇ છે. સાથે, મોર્નિગવોક કરનારાઓની પરિસ્થિતિનું વર્ણન આપણને એ બગીચામાં સદેહે હોવાની અનુભૂતિ કરાવે છે. ટપોરીલોગ ઉપરનો અભ્યાસ ખડખડાટ હસવા માટે શબ્દશઃ મજબૂર કરે છે.
        મોટે ભાગે પુસ્તકની શરૂઆતમાં પ્રસ્તાવના હોય. પણ અહી પસ્તાવાના છે. એ શબ્દની ચોખવટ પણ લેખક તરીકે ઉર્વીશભાઈએ તેની નીચે જ પહેલાં વાક્યમાં કરી છે. પણ એક વાચક તરીકે તો હું એટલું જ કહીશ કે જે આ પુસ્તક ના વાંચે એ પસ્તાવાના....
ઉર્વીશભાઈનાં અન્ય લખાણની મજા માણવા માટે તેમના બ્લોગની મુલાકાત અચૂક લેવી... આ રહી તેની લિંક. 
http://urvishkothari-gujarati.blogspot.in/

Monday, September 29, 2014

લીલ લપાઈને બેઠી

-સુરેશ દલાલ


લીલ લપાઈને બેઠી જળને તળિયે;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળિયે !
કંપ્યું જળનું રેશમપોત;
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !
હળવે ઊતરે આખું વ્યોમ;
નેણને અણજાણી આ ભોમ.
લખ લખ હીરા ઝળકે ભીના તૃણ તણી આંગળીએ !


Sunday, September 28, 2014

હું આવતી કાલમાં માનતો ન હોત

- સુરેશ દલાલ

હું આવતી કાલમાં માનતો ન હોત

તો મેં કવિતા લખવી બંધ કરી હોત !
ગઈ કાલે જ

મારી પત્નીને મેં તુલસીનો છોડ ઉછેરતાં જોઈ હતી.
સાંજને સમયે સૂર્યનાં કિરણો
એનાં પાન પર લખતાં હતાં યાત્રાની લિપિ.

હું આજમાં માનું છું

એથી તો હું ગઈ કાલના કવિઓની કવિતા વાંચું છું.
સવારના સૂર્યનો તડકો

મારી બાલ્કનીમાં આવીને મારા ઘરને અજવાળી જાય છે.
પંખીનો ટહૌકો ઘણીયે વાર મને ગીતનો ઉપાડ આપે છે.

શિશિરમાં જેનાં સઘળાંયે પાન ખરી ગયાં છે

એવા વૃક્ષને તો પંખીનો ટહૌકો પણ પાંદડું લાગે.
હું એ ટહૌકાને આંખમાં આંજી લઉં છું

અને લખું છું મારી લિપિ.
આવતી કાલ, એ ઈશ્વરનું બીજું નામ છે !

આપણે આપણી રીતે રહેવું

- સુરેશ દલાલ
આપણે આપણી રીતે રહેવું:
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !
ફૂલની જેમ ખૂલવું
અને ડાળની ઉપર ઝૂલવું
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રૂપ ભૂલવું
મૂંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!
પગલાં ભૂંસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું
લેવું દેવું કાંઈ નહીં: કેવળ હોવું એ જોતા રહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

યંત્રો

- મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

ગઈકાલે

ખેતી તું જાતે જ કરતો,
હિસાબો તું જાતે જ કરતો,
આયોજનો તું જાતે જ કરતો…
અને આજે
આવું બધું જ તારા વતી
યંત્રો કરે છે !
કદાચ આવતી કાલે
તારા વતી વિચારશે યંત્રો,
ચિંતા કરશે યંત્રો, પ્રેમ કરશે યંત્રો !
પરિણામે
પરમદિવસે તારા વતી જીવશે યંત્રો
અને
યંત્રો વતી
જીવશે તું !


Wednesday, September 24, 2014

લાઘવનું સૌંદર્ય – સમક્ષ


કચ્છ એક એવો જીલ્લો છે કે જે બધી રીતનું વૈવિધ્ય ધરાવે છે. સંસ્કૃતિ, સંગીત, કળા, સાહિત્ય- ગમે તેની વાત કરીએ, કચ્છની એક આગવી ઓળખ છે. તેમાં પણ ખાસ કરીને સાહિત્યની વાત કરીએ તો કવિતા હોય કે નાટક, વિવેચન, વાર્તા, કે પછી અનુવાદ, કચ્છી ને ગુજરાતીના સમર્થ લોકોથી કચ્છ શોભે છે.કચ્છ, ગુજરાત અને ગુજરાત બહાર પણ કચ્છની યશપતાકા ફરકાવનારા સાહિત્યકારો કચ્છમાં વસે છે.  
            સિદ્ધહસ્ત કવિઓ પણ કચ્છની પરંપરામાં છે. દરેક ગુજરાતી સામયિક કે સમાચારપત્રમાં કચ્છના કવિઓની હાજરી હોય જ છે. કેટલાય કવિઓ અને કાવ્યસંગ્રહો વિવિધ પારિતોષિક વિજેતા બની ચૂક્યા છે. અન્ય ભાષાઓના કાવ્યોના ભાવવાહી ગુજરાતી અનુવાદો પણ કચ્છે આપ્યા છે.
       અહીં જે કવિની વાત કરવી છે, તેમનાં લઘુકાવ્યોથી બધાં પરિચિત છે. ખ્વાબ ઉપનામથી સુંદર રચનાઓ લખતા શ્રી મદનકુમાર અંજારિયાના એક કાવ્યસંગ્રહ સમક્ષનો નાનકડો પરિચય આપવાની કોશિશ કરી છે.  
            કવિ ભલેને એમ કહેતા હોય કે હું સક્ષમ નથી, સમક્ષ છું. પણ આપણને આ કાવ્યસંગ્રહ વાંચ્યા પછી એ વાતની ખાતરી થઈ જાય છે કે એ સમક્ષ પણ છે અને સક્ષમ પણ. એમની રચનાઓ જ આ બેય વાતની સાક્ષી પૂરે છે. નાનીનાની સુંદર ભાવવાહી રચનાઓથી સક્ષમ બનેલો આ કાવ્યસંગ્રહ, અનેક વાસ્તવિકતાઓને આપણી સમક્ષ અનેરી છટાથી મૂકે છે.  
            સહુથી આકર્ષક હોય તો તે છે શીર્ષકો. એક કે બે શબ્દોથી રચાયેલી ચારથી પાંચ લીટીની નાનકડી રચનાઓનાં મોટેભાગે એક એક શબ્દનાં શીર્ષક જ એટલાં સરસ છે કે આખી રચના વાંચ્યા પછી, ફરીથી એ શીર્ષકને તે રચનાના સંદર્ભમાં વાંચવાનું મન થઇ જાય. ત્યારે શીર્ષકની પછી નવી જ અર્થછાયા સ્પષ્ટ થાય અને રચનાનો પણ નવો જ અર્થ સમજાય.
આવાં થોડાં ઉદાહરણ જોઈએ તો :

કાતરનાં એક પાનાંએ
બીજાં પાનાંને કહ્યું :
ટેરવાની મર્યાદાનું
ઉલ્લંઘન કરનાર
નખને
કપાવું પડે છે.
 આ રચનાનું શીર્ષક છે : સજા.

આમ તો મને
પાંખોય હતી !
પણ
એની જાણ તો
છેક ત્યારે થઇ
જ્યારે
ઊડી ગયું
પ્રાણ પંખેરૂ !

આ રચનાનું શીર્ષક કલ્પી શકાય કે? શીર્ષક છે : નિરર્થક.
            આમ તો માનવજાતના કહેવાતા વિકાસના, પણ ખરેખર તો વર્તમાન સમસ્યાઓને રજૂ કરતી રચનાઓ પણ ખૂબ ચોટદાર છે.જેમ કે,  

સાંભળ્યું છે કે
માંદી હવાને
ઓક્સિજન પર
રાખવી પડી છે !
આ લઘુકાવ્યનું શીર્ષક છે : પ્રદૂષણ.

જમીનને
કાગળિયાના જોરે
બિનખેતીમાં ફેરવીને
ત્યાં બનાવેલા
આલિશાન મકાનની
અગાસી પર
તેઓ બનાવે છે
ટેરેસ ગાર્ડન !
કચ્છની જ વર્તમાન હાલતને છતી કરતી આ રચનાનું શીર્ષક છે : પ્રાયશ્ચિત.

            શીર્ષક તો સ-રસ છે જ, સાથે આ લઘુકાવ્યોમાં કવિએ જીવનની કરૂણતા અને વાસ્તવિકતાઓને પણ હૃદયસ્પર્શી રીતે રજૂ કરી છે. જેમ કે આ એક હાઈકુ.
ભરેલ તોયે
ખાલી પેટે,રઝળે
રાંક સગર્ભા !

અને વિકાસ શીર્ષકની આ રચના :

ગંઠાઈ જવાનો ગુણ
લોહી સુધી
સીમિત હતો,
જે હવે પહોંચી ગયો છે
લાગણી સુધી.

            વળી, કવિ એ પણ જાણે છે કે માનવજાતનું ભવિષ્ય શું હશે. એટલે જ તેઓ આગાહી નામની રચનામાં કહે છે કે ગઇકાલ સુધી ખેતી, હિસાબ, આયોજન જેવાં કામ તું જ કરતો હતો. તારા વતી હવે એ બધું યંત્ર કરે છે.  આવતીકાલે તારા વતી યંત્રો વિચારશે, ચિંતા અને પ્રેમ પણ યંત્રો જ કરશે. ગઈ કાલ અને આજની આવી ઘટનાનાં પરિણામની આગાહી કરતાં કવિ કહે છે કે પરમ દિવસે તારા બદલે જીવશે પણ યંત્રો. યંત્રની જેમ જીવતા માનવને જોઈને લાગે જ છે કે કવિની આગાહી સાચી પડી ચૂકી છે.
            પ્રશ્ન નામની એક રચનામાં પણ કવિને એ જ પૂછવું છે કે સંગીતમાંથી સંગીત બાદ થાય તો શેષ વધે શાંતિ, હાજરીમાંથી હાજરી બાદ થાય તો શેષ વધે એકાંત, રકમમાંથી રકમ બાદ થાય તો શેષ વધે શૂન્ય. આટલે સુધી તો બરાબર, પણ મૂળ પ્રશ્ન એ છે કે માણસમાંથી માણસ બાદ થાય તો શેષ શા માટે વધતો હોય છે રાક્ષસ?
       તે જ રીતે ખોખલી માન્યતાઓ અને દંભ ઉપર આકરો પ્રહાર કરતી આં રચના :
                                      ચામડાંનાં પગરખાં
                                        બહાર ઉતારી
                                        મંદિરમાં પ્રવેશું છું.
   જન્મજાત ચામડે મઢેલો હું !

            અનધિકૃતજેવું ખૂબ જ અર્થપૂર્ણ શીર્ષક ધરાવતી આ રચના આજના કહેવાતા વિકસિત સમયમાં પણ કેટલી વાસ્તવિક છે ! રાવણ નામની રચના દ્વારા પણ આવી જ વાત કવિ મૂકે છે :

આપણામાંથી
કોઈને પણ
દશ માથાં નથી,
તો શું થયું !
સવાલ માથાંનો નથી,
મથરાવટીનો છે.  

            માણસના રાવણપણાને છતું કરતી એક અન્ય રચના છે :

રાવણ જેવા નહિ,
માણસ જેવા ઈરાદે,
સમજણની સીતાનું
અપહરણ કરી જાય છે..
લંકાના રાવણ કરતાં
વધુ ભયંકર છે
શંકાનો રાવણ !

            અને માણસનો જ વધુ પરિચય આપતી એક બીજી રચના કંઈક આવી વાત કહે છે :
આપણી એક જ ફૂંક
દીવા જેવા દીવાને
હોલવી નાખે છે !
ભીતરમાં આપણે
ભરી બેઠા છીએ
કેટલું બધું અંધારું!
            અશક્ય નામની રચનામાં કવિ કહે છે :
ઘરમાં
ગાય પાળવાનું
નક્કી કરનારો હું
કામધેનુ એપાર્ટમેન્ટના
સાતમા માળે રહું છું!

            કેટકેટલા મહાન આત્માઓ આપણને સુધારવા પોતાના જીવનની આહુતિ આપી ગયા. ફરક પડ્યો છે કંઈ? તો હજુ પણ નામની રચનામાં કવિ વાસ્તવિકતા બતાવતાં કહે છે :

ઈસુની છબી
ભીંતે ટાંગવા માટેય
હું
ભીંતમાં
ઠોકી રહ્યો છું
ખીલો!

            અહિંસા નામની રચનામાં કવિ સરસ સંદેશ આપે છે :
એક કાંકરે
બે પક્ષી મારવાં..
- એ કહેવતનો
દુરુપયોગ કરનારને
ક્યાંથી સમજાય
કે-
એક પણ કાંકરો
માર્યા વગર
જીવાડી શકાય છે
બધાં પક્ષીઓને.

            આપણી આંખ એ આપણા માટે દુનિયાને જોવાની બારી છે. કહેવાય છે ને કે સારું કે ખરાબ કંઈ હોતું નથી, આપણી દ્રષ્ટિ એને એવો અર્થ આપે છે. કવિ બે સરસ રચનાઓમાં આવી જ વાત કહે છે :

આંખોની
તકલીફના કારણે
છેવટે
વિશ્વ અસ્પષ્ટ
દેખાવા લાગ્યું,
છેક ત્યારે
એ સમજ સાંપડી
કે
વિશ્વ
હકીકતમાં
અસ્પષ્ટ નથી.

સ્પષ્ટતા શીર્ષક ધરાવતી આ રચના અને ઉપકાર શીર્ષકની આ રચના દરેકને આત્મમંથન કરવા પ્રેરે છે :

પ્રભુ !
મારી આંખોને
તેં નબળી પાડી;
એ બદલ પણ
તારો ઋણી છું !
કેમ કે -
યુવાન હતો, ત્યારે
સારી જગ્યાઓનેય
આમાં શું જોવાનું છે!
-કહીને ટાળતો હું,
આજે
ક્ષુલ્લક ચીજોને પણ
મન ભરીને
જોવા મથું છું !

            માતા વિષયક પણ ઘણી રચનાઓ છે, જે સ્ત્રીઓનો ચહેરો ના જોતા પાખંડી અને બેવડા વલણવાળા ધર્મગુરૂઓ સામે મૂકવાનું મન થાય.

મરણ પામવાના
અનેક રસ્તા છે
પણ
જન્મ
પામવાનો
એકમાત્ર
રસ્તો છે-
મા.

કહેવાય તો કાવ્ય, પણ શબ્દની પીંછીએ દોરાયેલું આ રમણીય ચિત્ર :

વરસાદે
કવિને કહ્યું-
મારો, બાળપણનો
ફોટો બતાવું?
..અને તેણે
આંગળી ચીંધી
વાદળ તરફ !
કે પછી સજીવારોપણનું આ સુંદર ચિત્ર :

વૃક્ષોના છાંયડા
એ તો
સૂરજની આંખોના  
પલકારા છે.
           
            આવાં તો કેટકેટલાં લઘુકાવ્યોથી સમૃદ્ધ બનેલો આ સક્ષમ સંગ્રહ નકશીદાર અરીસાનાં મુખપૃષ્ઠથી શોભે છે. જે વાચકને એકવાર પોતાની અંદર ઝાંકવા મજબૂર કરે છે. વાત કોઈ વિચારધારાની હોય કે અંધશ્રદ્ધાની, માન્યતાની હોય કે લાગણીની, કુદરતી સૌંદર્યની હોય કે માનવીય કુરૂપતાની- કવિએ દરેક બાબતને ટૂંકા અને ચોટદાર શબ્દોમાં મૂકી છે. વાગે નહિ પણ ખટકી જાય એ રીતે. એટલે જ તો દરેક રચના વાચકને વિચારવા માટે પ્રેરે છે.  કેમ કે વાગેલું તો રૂઝાઈ જાય, ખટકે તેને કાઢવું જ પડે. તે પ્રક્રિયા પીડાદાયક હોય, પણ છેવટે પીડામુક્ત પણ કરે. એવી જ વાત આં સંગ્રહમાં પણ છે. લાગણી, વિચારો કે શબ્દો ભલે કવિના હોય, અહેસાસ તો દરેક વ્યક્તિનો હોઈ શકે. એટલે જ આ રચનાઓ આપણને આપણી જ વાત લાગે છે.
            કવિનું નિરીક્ષણ દુનિયાથી અલગ હોય તેની સાક્ષી આ સંગ્રહ તેની રચનાઓ વડે પૂરે છે. આમ તો જે બધાં જુએ તે જ કવિ જુએ. પણ બધાંથી આવી રચનાઓનું સર્જન થઇ શકતું નથી. જ્યારે કવિને તો દીપપ્રાગટ્ય પછી ઓલવી નાખેલી મીણબત્તી, પ્રકાશ પાછળ થતી સતી લાગે છે.

            આજના સમયમાં બોલનારા ઘણા છે, કહેનારા ઓછા. એટલે જ કહેનારા પોતાની વાત બને તેટલાં ટૂંકાણમાં રજૂ કરવાનું પસંદ કરે છે. શ્રી ખ્વાબના જ શબ્દોમાં કહું તો આ સંગ્રહ ઘણાં નાળિયેરો વચ્ચે ઉગેલું શ્રીફળ છે. લાઘવનું  સૌંદર્ય ભાવક સમક્ષ મૂકતા આ સંગ્રહનો પોતાનો વ્યાપ ઘણો મોટો છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી.