Thursday, August 7, 2014

ચિનગારી




મોટાભાગના લોકો પાસેથી એ ફરિયાદ સાંભળવા મળે કે સમય જ નથી મળતો. એટલી હદે કે બીજા માટે તો ઠીક, પોતાની જાત માટે પણ સમય નથી મળતો. પહેલી નજરે વિચિત્ર લગતી આ વાત, બીજી નજરે એટલે કે શાંતિથી વિચારતાં સાચી લાગશે. મોબાઈલ, ટીવી, ઈન્ટરનેટ વગેરેના વગર વિચાર્યા ઉપયોગથી આજે માનવ પોતાની જાત સાથે વાત કરવા માટે આઉટ ઓફ કવરેજ થઇ ગયો છે.
મૂકેશ મોદી
ત્યારે રોજબરોજની જિંદગી સાથે સંકળાયેલી  વિચારધારા, અનુભવ, વર્તન જેવી બાબતો માટે માર્ગદર્શક બનતું એક નાનકડું પુસ્તક છે “ચિનગારી”. પુસ્તકનો પરિચય તેનાં જ એક વાક્યથી આપવો હોય તો કહી શકાય કે તમને તમારા અંગે વિચારતાં કરી મૂકવા. આ છે પુસ્તકનો મુખ્ય હેતુ. શ્રી મૂકેશ મોદી લિખિત આ પુસ્તક, નાની પણ ચિનગારી સમી પ્રજ્વલિત બાબતોને હળવાશથી અને વાતચીતની ભાષામાં વાચકો સામે મૂકે છે.
વિષયોનું વૈવિધ્ય આપીને મૂકેશભાઈએ કેટલાય વિષયોને વિચારવા માટે વાચક સામે ખૂલ્લા મૂકી આપ્યા છે. “ચિનગારી”માં પુસ્તકની વાત પણ છે અને પ્રવાસની પણ. ફિલ્મની વાત પણ છે અને ફેસબૂકની પણ. મૂલ્યોની વાત સાથે મેનેજમેન્ટની વાત પણ લેખકે આવરી લીધી છે. વળી તેમના પોતાના અનુભવોની વાત પણ વણી લીધી હોવાથી લખાણ જીવંત અને રસપ્રદ બને છે.
લેખનાં શીર્ષકો જ આપણને આખો લેખ વાંચવા પ્રેરે છે. થોડા દાખલા જોઈએ તો : અસફળ રહેવું અને નિષ્ફળ જવામાં ફરક છે, તમને અફસોસ કરતાં આવડે છે?, ચાલો, હવાઈ મિનારાઓના પાયા ચણીએ, જે મજા લૂંટી શકે એ મેચ્યોર, તમે અન્ફ્રેન્ડ કરવાવાળા કે વિથડ્રો થવાવાળા?, ગુસ્સાની પાઠશાળા..
કેટલાય પ્રશ્નોની છણાવટ આ લેખોમાં કરવામાં આવી છે, જે આપણને આપણા વિષે વિચારતા કરી મૂકે છે. શા માટે જીવવું તે વિશેની વાતમાં લેખકે  સ્વથી સમાજ સુધી લાગુ પડતા આ પ્રશ્નની ચર્ચા કરી છે. આપણે આપવાના અભિગમવાળા છીએ કે લેવાના, તે પ્રશ્ન આપણને આપણા દરેક વર્તન માટે એક વાર વિચારી લેવાની પ્રેરણા આપે છે. આ પુસ્તકની ખાસિયત એ છે કે એમાંની એક પણ બાબત એવી નથી કે જે આપણને લાગુ પડતી ના હોય. જીવનમાં ક્યારેકને ક્યારેક આ તમામ પરિસ્થિતિમાંથી આપણે ગુજરી ચૂક્યા હશું. એટલે આપણને દરેક વાત પોતાની જ લાગે છે.
સંબંધો, સમસ્યાઓ, સંભાવનાઓ, સ્વભાવ, સંજોગો, સમાજ.. કેટકેટલી બાબતોથી ઘેરાયેલી આપણી જાત ઉપર છવાયેલી રાખ હટાવીને,આપણામાં જ છૂપાયેલી ચિનગારીને હળવી ફૂંક મારીને છતી કરવાનું કામ આ પુસ્તક કરે છે.
પુસ્તકમાંથી થોડું આચમન :
o
Ø આપણે આપણી જાતને જે છીએ તે સ્વીકારતા નથી. આપણે આપણી જાતને જે માનીએ છીએ તે તરીકે સ્વીકારીએ છીએ.
Ø અસલી અર્થાત્, એક્ટીવ જીવન એટલે મન, બુદ્ધિ, હૃદય, આત્મા જે કહે છે, એને માની એ પ્રમાણે જીવવું. ભલે બધા દેશી કહે તો દેશી, પણ ગુજરાતી થાળી જમવાની મજા આવતી હોય તો એ જમવું એટલે અસલી જીવન.
Ø સ્વપ્નને વાસ્તવિક મહેનતનો ટેકો નહિ મળે તો સ્વપ્ન ધૂળધાણી થઇ જશે. ભવ્ય અને ક્રાંતિકારી વિચારો તો ઘણાને આવે છે, પણ જેઓ તેની ઉપર કામ શરૂ કરે છે, તેઓ જ ઇતિહાસમાં સ્થાન પામે છે.
Ø શું સારું કે શું ખરાબ, શું કરવું જોઈએ કે શું ના કરવું જોઈએ એ આપણે નક્કી કરવા જઈએ તો અવશ્ય ગૂંચવાઈ જશું. પરંતુ, જે કાર્ય કરીએ છીએ તે અને તે કાર્ય શા માટે કરીએ છીએ એ અંગે જાગ્રત હોઈએ તો ઘણા રસ્તા ખૂલવા માંડે.
Ø અને તરસ છે તો ચોક્કસથી ક્યાંક પાણી હોવાનું જ. કારણ કે કુદરત એટલી નિષ્ઠુર તો નથી જ કે જે તરસનું નિર્માણ કરે અને પાણીની શોધ જ ન કરે, કુદરત એટલી તો નિર્દયી ન જ હોય કે ખાલીપો આપે અને ભરપૂર જીવનની શક્યતા ન આપે, કુદરત એવી દયાહીન તો નથી જ કે શોધ કરવાની લગન આપે અને શોધ કરવાની શક્તિ ના આપે. જો તરસ છે, તો પાણી હોવાનું અને હોવાનું જ.  

દરેક લેખના અંતે “ચલતે ચલતે” શીર્ષકથી મૂકાયેલું નાનું નાનું લખાણ પણ લેખને અનુરૂપ અને ચોટડૂક છે. તે લેખને વધુ સ્પષ્ટ કરવામાં મદદ કરે છે. વાંચીને વિચારતાં કરતું અને તે પ્રમાણે અમલીકરણ કરવાની પ્રેરણા આપતું પુસ્તક.