Showing posts with label સાફલ્યગાથા. Show all posts
Showing posts with label સાફલ્યગાથા. Show all posts

Sunday, January 29, 2017

પાયાના પથ્થર એવાં પરમામાની પ્રેમાળ કહાણી

       

      કચ્છની સંસ્થા "શ્રૃજન" નો પાયો જેના ઘરે નખાયો એવાં પરમામા હજી રચનાત્મક કારીગર છે.

        આમ તો પરમામાને જોઇએ તો વાર્તા કહેતી નાની કે દાદી યાદ આવે એટલાં સહજ અને પ્રેમાળ લાગે. એટલી જ સહજતાથી અને પ્રેમાળ રીતે તેઓ "શ્રૃજન" સંસ્થાની શરૂઆત પોતાનાં ઘરમાંથી થઈ તે વાત પણ કહી દે. સંસ્થા માટે અને સંસ્થા સાથે જોડાયેલી દરેક વ્યક્તિ માટે તેમને જે દિલની લાગણી અને દિલનો સંબંધ છે તે તે તેમના દરેક શબ્દમાં અનુભવી શકાય. પછી તે વ્યક્તિ મુ.કાકી હોય, શ્રી કિરીટભાઇ હોય, શ્રી ધવલભાઈ હોય કે પછી અબડાસા તાલુકાનાં ખૂણાનાં ગામની કોઇ કારીગર બહેન હોય,દરેકને નામ અને કામથી તેઓ હજી પણ યાદ કરે છે.


        અને કેમ ન કરે? આ કંઈ એક બે દિવસનો સંબંધ છે? પૂરાં ૪૦ વર્ષનો સંબંધ છે.એટલે જ પરમામા બધી વાત જાણે પોતાનાં ઘરની જ વાત હોય એટલી નિસબતથી કરે છે."ત્યારે દુકાળ પડેલો. અહી રામકૃષ્ણ મિશન દ્વારા રસોડું કરવામાં આવેલું.કાકી એટલે કે શ્રી ચંદાબહેન શ્રોફ અહીં અમસ્તાં જ સ્વામીજીને મળવા આવેલાં. તેમણે બહેનોની કળા જોઇ.તેમને થયું કે યોગ્ય ઢાળ મળે તો આ કળાનું વહેણ સારી રીતે વહી શકશે. કોઇએ તેમને મારું નામ આપ્યું " અને બસ, શરૂ થઈ ગયો એક સુંદર સંબંધનો સિલસિલો.

        ભૂજ તાલુકાનાં ધાણેટી ગામનાં વતની પરમામા મૂળે "આરખણી" એટલે કે ભરતની ડિઝાઈનનાં કારીગર. સાથે ભરત પણ ભરે. પહેલાં તો તેઓ ગામની બહેનોને એમ ને એમ આરખણી કરી આપતાં.કોઇ બહેન તેમની પાસે આવે ત્યારે જો પરમામા ઘરનું કંઈ કામ કરતાં હોય તો તે બહેન જ હોંશેહોંશે તે કામ કરી આપે. અને પરમામા કરે આરખણી. એનો એક રૂપિયો ના લે. બહેન કંઈ કામ ન કરી આપે તો પણ પરમામા તો મફતમાં જ આરખણી કરી આપે.

        ત્યાર પછી સંસ્થા સાથે સંબંધ શરૂ થયો. ત્યારે તો ભુજોડી તો શું, કચ્છમાં પણ કંઈ ઓફિસ કે એવું નહોતું.પરમામાના ઘરે જ બધું કામ થાય.કાચા માલની લેવડદેવડ થાય,ભરાયેલા ટુકડા આવે વગેરે. પરમામા તો બધું મફત કરતાં. પણ કાકીએ કહ્યું :" કાયમી કંઈ મફત કરાય?"પણ પરમામાએ ક્યારેય પગારની માથાકૂટ કરી નથી.માલ પહોંચાડવા યા તો પાર્સલ કરતાં અથવા તેઓ જાતે મુંબઈ જતાં.આજથી ૪૦ વર્ષ પહેલાં એક સ્ત્રી માટે મુંબઈ જવું સહેલું નહોતું. અમદાવાદ ટ્રેન બદલવી પડતી.સાથે કિમતી માલ હોય."પણ હું પણ એક યુક્તિ કરતી. માલ બધો સારી રીતે બોક્સમાં ન ગોઠવતી.કોથળામાં ભરતી! એટલે કોઇને ખબર ન પડે."

        પરમામાના પતિ ખૂબ સારો ટેકો કરતા. મુંબઈ જવાનું હોય ત્યારે તેઓ ધાણેટી આસપાસનાં ગામોમાં જઈને મુંબઈ જનારો "સથવારો" શોધી લાવતા. વળતાં તો પરમામા એકલાં જ હોય." આપણે પોતે બરાબર તો દુનિયા બરાબર. પહેલાં પોતાને જોવું, પછી બીજાને દોષ દેવો."પરમામા શાંતિથી કહે છેપુસ્તકીયું ભણેલાં નહી પણ આવાં મૂલ્યો ગણેલાં પરમામા નિશાળ નથી ગયાં. પણ એક જૈન સાધ્વીજી સમતાશ્રીજી પાસે લખતાંવાંચતાં શીખ્યાં છે.પછી તો ઘણાં ધાર્મિક પુસ્તકો વાંચ્યાં છે. અત્યારે પણ ભાગવત અથવા કોઇ પુસ્તક ઓશિકે જ હોય." હું વાંચતાં શીખતી ત્યારે ઘરની અંદર ખૂણામાં બેસતી. બહાર કોઇને ખબર ન પડવી જોઇએ. હવે તો ભણતર ખૂબ જરૂરી છે." આવું માનતાં પરમામાની દોહિત્રી સ્નાતક થઈ છે.

     "માત્ર આહિર બહેનો જ નહીં,દરેક બહેનને કામ મળવું જોઇએ" આ સિદ્ધાંતમાં માનતાં પરમામા સંસ્થાના સહયોગથી અબડાસા, છોટા ઉદેપુર,દ્વારકા,થરાદ પણ જઈ આવ્યાં છે. કારીગર બહેનો માટે ખૂબ જ લાગણી ધરાવતાં પરમામા કારીગરોની વાત આવતાં જ ભૂતકાળમાં સરી પડે છે. "અબડાસાનાં ગામોમાં હું આઠ આઠ દિવસ રોકાતી.બહેનોને ભરત અને આરખણી શીખવતી.ત્યારે તો પોતે મહેનત કરીને સંસ્થા ઉભી કરતાં. કામના કલાકો નક્કી ન હોય. દી ઉગે ત્યારે કામ શરૂ અને દી આથમે ત્યારે કામ પૂરું.એક વાર વમોટી ગામમાં શીખવા માટે ૨૦ને બદલે ૪૯ બહેનો થઈ ગઈ. પછી બપોરે ૧૨ વાગા સુધી ૨૫ બહેનો અને ૧૨ પછી બીજી બહેનોને શીખવ્યું."બહેનો ખેતરમાં મજૂરી કરતાં કે માટી ઉપાડતાં."આખો દિવસ મટ્ટી ઉપાડે,ત્યારે ૧૪ આના મળે. તેનાથી તો સારું ને કે ભરત ભરે." જૂની વાતો યાદ કરતાં પરમામાના હોઠ જ નહિ, આખો ચહેરો હસી ઉઠે છે. "બહેનો સાડી ઊંધી ભરી નાખતાં. કેમ કે સાડી કેમ પહેરાય તેનો તેમને ખ્યાલ જ નહીં. પાલવ ક્યાં હોય તે પણ તેમને ખબર ન પડે."

        "હજી પણ તમે આરખણી કરી શકો?" જવાબમાં ફટાફટ ત્રાંસ મગાવ્યો અને એને ઉંધો મૂકી, કપડાં ઉપર એક સરસ મોર દોરી બતાવ્યો. ૮૬ વર્ષે પણ ચશ્મા વિના કામ કરી શકતાં પરમામા કહે છે કે મને રીંગ ન જોઇએ.ત્રાંસ કે થાળી ચાલે. પરમામાએ કોઇપણ પ્રકારની તાલીમ લીધી નથી પણ તાલીમ આપી ઘણી છે.બધી જ પ્રોડક્ટની ડિઝાઇન બનાવેલી છે.પહેલાં ગેરૂથી આરખણી કરતાં પરમામા અત્યારે બોલપેન વાપરે છે. "છેકો પડે તો?" એવી શંકાના જવાબમાં પરમામાનો અનુભવ જવાબ આપે છે :"ભૂલ પડે તો છેકો પડે ને

        આવો ધરખમ અનુભવ ધરાવતાં પરમામાના પગ જમીન ઉપર જ છે. આટલી સરસ આરખણી કોણે શીખવી? એવા પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે આ ઉપરવાળો. બીજું કોણ શીખવે?અંદરની સૂઝ છે અને ભગવાનની દયા છે. ખુમારીથી ભરેલાં પરમામા અત્યારે એકલાં જ રહે છે. તેમનાં દીકરી બાજુમાં જ રહે છે. પણ પરમામા જાતે રસોઇ બનાવે, સફાઈ કરે, કપડાં સુદ્ધાં જાતે ધૂવે છે.
        હવે તેઓ સંસ્થામાં જતાં નથી. પણ ચંદાકાકી કે કાંતિસેનકાકા કચ્છ આવે ત્યારે પરમામાને ઘરે અચૂક આવે. એટલું જ નહીં. પરમામાએ જેમને તાલીમ આપી છે તે કારીગર બહેનો પણ ધાણેટી ખાસ પરમામાને મળવા આવે છે. આવા કુદરતની અણમોલ ભેટ જેવા કારીગર તો સંબંધિત સંસ્થાની સાથે સમગ્ર કચ્છનું ગૌરવ છે.
('સાફલ્યગાથા' કોલમ હેઠળ 'કચ્છમિત્ર'માં પ્રગટ)

૨૪ ૦૧ ૨૦૧૭ના દિવસે, ૯૫ વર્ષની ઉમરે પરમામાએ કાયમી વિદાય લીધી. અચીજા પરમામા.....


Sunday, April 12, 2015

આત્મવિશ્વાસને ફળિભૂત કરતાં ફાતમાબહેન જત


  જ્યારે કોઇ વાતને સાબિત કરવાની હોય ત્યારે કેટલાક લોકો દલીલ કરે છે, તો કેટલાક વળી બીજાના દાખલા આપે છે . બહુ ઓછા લોકો હોય છે જે જાતે દાખલારૂપ બને છે . ફાતમાબેન આ ત્રીજા પ્રકારના વ્યક્તિમાં આવે છે . આજના સમયમાં લોકોમાં ખૂટતી બે બાબતો એમનામાં ઠાંસીઠાંસીને ભરી છે. એ છે નૈતિક મૂલ્યો અને પોતાના દિલોદિમાગથી નિર્ણય લેવા.
  ભુજનાં બાપા દયાળુ નગરમાં રહેતાં ફાતમાબેન હુસેનભાઇ જતે હજી જીવનની ચાલીસી પણ પૂરી નથી કરી. શાળાએ જવાની તક નથી મળી પણ હવે કામ પૂરતું લખતાં-વાંચતાં શીખી ગયા છે . પાકા ઘડે કાંઠા ન ચડે એ કહેવતને પણ તેમણે જાતે દાખલારૂપ બનીને ખોટી સાબિત કરી બતાવી છે . ડીસન્ટ પુઅર કે હાઉસીંગ જેવા શબ્દો તેઓ સહજતાથી ઉપયોગમાં લે છે .
  ભુજ તાલુકાનાં ગડા પાટીયા પાસે આવેલી એસઓએસ સંસ્થાના કાર્યકરો ચન્દ્રસેનભાઇ ગનવાની અને પઠાણભાઇએ પહેલી વારમાં જ તેમનું હીર પારખ્યું અને ફાતમાબહેને પણ પોતાની આવડત સાબિત કરી બતાવી. આ સંસ્થાની સાથે કચ્છ મહિલા વિકાસ સંગઠન, સહજીવન, હુન્નરશાળા, અર્બન સેતુને પણ ફાતમાબેન પોતાની પ્રગતિનો યશ આપે છે .
medium_dsc02258.jpg
ફાતમાબહેન 
   આજે તેઓ પોતાના વિસ્તારનાં બચતજૂથનાં આગેવાન છે . સંસ્થાઓએ બનાવેલી એરિયા કમિટિમાં છે. કચ્છ મહિલા વિકાસ સંગઠનના નેજા હેઠળ "સખીસંગિની" સંગઠનની કારોબારીમાં છે . તેના દ્વારા તેઓ થાઇલેન્ડ ખાતે એક વર્કશોપમાં પોતાના વિસ્તારનાં કામો પણ રજૂ કરી આવ્યાં છે . આ તમામ સંસ્થાઓના સહયોગથી ફાતમાબહેને વિવિધ કામગીરી કરી છે . બચતજૂથ તો ખરું જ, સાથે જન્મમરણના દાખલા કઢાવવાની કામગીરીથી માંડીને પીવાનાં પાણી માટેનો કૂવો પણ બનાવ્યો છે . કામ કોઇ પણ હોય, બધાંને સાથે રાખીને કરવાનું. લોકભાગીદારી અને લોકફાળો તો હોવા જ જોઇએ  એમ તેઓ સ્પષ્ટ માને છે. સહજીવન સંસ્થા સાથે રહીને તેમણે પીવાના પાણીનો કૂવો બનાવ્યો છે . આ વિષે ફાતમાબહેન કહે છે કે અમારા વિસ્તારમાં કોઇને વિશ્વાસ નહોતો કે બહેનો આ કામ કરી શકશે પણ અમે એ કરી બતાવ્યું.
અમુક બાબતો વ્યક્તિમાં અંદરથી ઉગે છે . તેને જ સંસ્કાર કે મૂલ્યો કહી શકાય. તે જ માનવતાને જીવંત રાખે છે . સંસ્થાકીય કામગીરી તો ખરી જ, પણ ફાતમાબહેનની સફળતા એ જ છે કે તેમણે આ મૂલ્યોને અને માનવતાને જીવંત રાખ્યા છે . તેમણે કરેલી કામગીરીનો એક દાખલો તો અજોડ છે . એક મિટિંગ દરમ્યાન તેમને એ વાતની જાણ થઇ કે એક અંધ યુગલ છે, જેમનું આટલી મોટી દુનિયામાં કોઇ નથી. ફાતમાબહેનને તેમના પ્રત્યે સહાનુભૂતિ થઇ. એ માત્ર "અરેરે" કહીને બેસી રહેનારાં ન હતાં. તેમનાં ઘરનાં આંગણાંમાં એવી જમીન હતી, જે તેમણે ઘરેણાં વેચીને ખરીદી હતી, જેની ઉપર એક રૂમ બનેલો હતો . ફાતમાબહેને તે રૂમ સહિતની જમીન આ યુગલને આપી દીધી. “સાવ મફત નહિં હો બહેન, ઓરડો બનાવવાનો જે ખર્ચ થયો હતો એટલા રૂપિયા લીધેલા.” સામી વ્યક્તિને પ્રભાવિત કરવાના આશયથી જોજનો દૂર એવાં ફાતમાબહેન બિલકુલ છૂપાવ્યા વિના કહે છે . અત્યારે તેઓ કશું ભાડું નથી લેતા. ફાતમાબહેનના પતિ અને તેમનાં સંતાનો પણ એ અંધ યુગલને કામમાં મદદ કરે છે . એટલું જ નહિં, હુન્નરશાળાએ પોતાનાં ફંડમાંથી એ યુગલને મકાન પણ બનાવી આપ્યું.
એ યુગલ અને ફાતમાબહેનનો ધર્મ, જ્ઞાતિ, આર્થિક અને સામાજિક પરિસ્થિતિ, ભૌગોલિક વિસ્તાર જેવી બધી બાબતો એકદમ અલગ છે . પણ દુનિયાભરના તમામ ધર્મોના ગુરુઓથી પણ મોટી વાત ફાતમાબહેન એક જ વાક્યમાં કહે છે : “જીયરે કે જગ્યા ખપે ભેણ.” (જીવતાને જગ્યા જોઈએ બહેંન...) બાહ્ય દેખાડો કરતા, ધર્મસ્થાનો બનાવવામાં અબજો રૂપિયા ખર્ચતા, ધર્મનો મર્મ સમજ્યા વિના આવાં સ્થાનો માટે  ઝગડતા અંધશ્રધ્ધાળુ ભક્તો સામે ફાતમાબહેન ધર્મનો સાચો અર્થ અમલમાં મુકે છે .
પોતાનાં બચતજૂથનાં બહેનોને પણ તેઓ બધી જ મદદ કરે છે . આરોગ્ય, શિક્ષણ, બચત, કાયદો, યોજનાઓ – એવી કોઇ બાબત નથી, જેમાં ફાતમાબહેન પોતાની બહેનોની પડખે ન હોય. કોઇ બહેનને હોસ્પિટલ જવાનું હોય કે સુવાવડ આવવાની હોય , ફાતમાબહેન કાળી રાતે પણ સાથે જવા તૈયાર હોય્. એટલું જ નહિં, પોતાનાં જુથ અને વિસ્તાર સિવાયની બહેનને પણ કોઇ મદદ જોઇતી હોય તો ફાતમાબહેન હમેશાં તૈયાર જ હોય છે .
ભણતર અને તેમાં પણ દીકરીઓનાં ભણતર ઉપર ખૂબ જ ભાર મૂકતાં ફાતમાબહેન કહે છે કે દીકરીઓને પણ ભણવાનો હક છે . આ બાબતે પણ તેમણે પોતાની દીકરીને ભણાવીને દાખલો ઉભો કર્યો છે . તેમની દીકરીને જોઇને સમાજની બીજી દીકરીઓ પણ હવે ભણતી થઇ છે .
સમાજમાં દાખલો ઉભો કરવાની કામગીરીમાં ઘરમાં સંઘર્ષ થાય તે સ્વાભાવિક છે . પણ ફાતમાબહેનને તેમના પતિ હુસેનભાઇનો પહેલેથી ખૂબ જ ટેકો મળ્યો છે . ફાતમાબહેન શરમાતાં શરમાતાં કહે છે  : 
લોકલ ન્યુઝમાં મારો ઇન્ટરવ્યુ આવતો હોય તો "ઇ" તરત બૂમ પાડે : જલદી આવ, તારો “સીન" આવ્યો !

ફાતમાબહેન માને છે કે બહેનોમાં ઘણી શક્તિ છે . તેઓ આત્મવિશ્વાસથી કહે છે કે બહેનો જો ધારે તો ડુંગર પણ ખણી (ઉપાડી) શકે . અમારા મંડળના ઘણાં કામો અધૂરાં રહે છે ત્યારે જીવ પણ બળે . પણ અમે કામ ચાલુ જ રાખીએ, બેસી ન રહીએ .


આવો જ સંદેશ ફાતમાબહેનની દરેક કામગીરીમાંથી મળે છે . હારી ન જવું, માહિતી મેળવવી, દલીલ કરવાને બદલે કામ કરીને તેને જ બોલવા દેવું. દરેક બહેનમાં આવો આત્મવિશ્વાસ છે જ. જરૂર  છે તેને ઓળખીને યોગ્ય કામમાં અને યોગ્ય સમયે તેનો ઉપયોગ કરવો . કોઇ ભેદભાવ વિના, પોતાનાં દિલ, દિમાગ અને અનુભવને વાપરીને કોઠાસૂઝથી કામ કરતાં ફાતમાબહેનને સલામ ! 



('કચ્છમિત્ર' દૈનિકમાં 'સાફલ્યગાથા' તરીકે પ્રકાશિત)



Thursday, February 26, 2015

દિલની વાતો - દમયંતીબહેન સાથે..

"ગમે તેવી ઠોકર વાગે, ચાલતા તો રહેવું જ."
 વિચારને વ્યવહારમાં મૂકતાં દમયંતીબહેન
દમયંતીબહેન કરમશી છેડા.ઉમર વર્ષ ૬૧,અભ્યાસ સાત ધોરણ.આવો સામાન્ય પરિચય કેટલીય બહેનોનો હોઈ શકે.પણ જ્યારે મુન્દ્રા તાલુકાનાં મોટી ભુજપુર ગામનાં દમયંતીબહેનનો આ પરિચય હોય તો તે સામાન્ય ન રહેતાં આગવો બની જાય છે.સતત ત્રીસ વર્ષના સંઘર્ષ પછી હવે ઠરીઠામ થયેલાં દમયંતીબહેનનું જીવન ખૂબ તકલીફોથી ભરેલું રહ્યું છે.ઘણી તકલીફો વચ્ચે જો અડીખમ રહી હોય તો તેમની હિંમત.
કાઉન્ટર ઉપર વ્યસ્ત 
        પિયરમાં પણ તકલીફો વેઠીને સાસરે આવેલાં દમયંતીબહેનની તકલીફો ઘટી નહીં.આર્થિક સ્થિતિ નબળી હતી.પા લીટર દૂધ લેવાની પણ તકલીફ હતી. તેને પહોંચી વળવા પતિ-પત્નીએ કમર કસી.સાબુ,ખાખરા જેવી વસ્તુઓ વેંચી. પણ મૂડી તો હતી નહીં.છેવટે અથાણાં જેવી રોજબરોજની વસ્તુ બનાવવાની શરૂ કરી.પહેલાં કાચું અથાણું બનાવતાં. ક્યારેક બગડી પણ જાય. ક્યારેક પા કે અડધો કિલો જ વેંચાય. કિલો અથાણું વેંચાય ત્યારે ઘરમાં ઉત્સવનું વાતાવરણ થઈ જાય. ગમે તેવી તકલીફો પડી, હિંમત હાર્યા વિના કામ ચાલુ રાખ્યું. દમયંતીબહેનના પતિ કહેતા કે આવનારા સમયમાં લોકો તૈયાર વસ્તુઓ જ લેવાનું પસંદ કરશે,ઘરે બનાવવાનું નહીં. બસ,આ ધ્યેય જ નજર સામે રાખીને તેઓ બંને કામ કરતાં.
        અથાણાં બનાવવા પૂરતાં વાસણો પણ તેમની પાસે નહોતાં.કોઇનાં વાસણ તૂટીને બિનઉપયોગી બની ગયાં હોય તેવાં વાસણો વાપરતાં.દમયંતીબહેન કહે છે :"મારા પતિ અને મને, બંનેને બધા ગાંડા કહેતા. કેમ કે,તૈયાર અથાણાં કોણ લે? પણ અમે મહેનત ચાલુ જ રાખી." બીજોરાંનાં અથાણાંથી શરૂ થયેલી આ કામગીરીમાં હવે માત્ર બીજોરાંની જ સાત આઈટમ છે. કુલ બાવીસ જાતની વસ્તુઓવિજય પીકલ્સના માર્કા હેઠળ બને છે.
વસ્તુઓની વિવિધતા...
દમયંતીબહેન ગૌરવ સાથે જણાવે છે કે આ માર્કા અને લાયસન્સ માટે શ્રી રાજીવ ગાંધીને જ સીધો પત્ર લખેલો અને સરળતાથી કામ થઈ ગયું.
શરૂઆતમાં તૂટેલાં વાસણમાં બનતું અથાણું આજે અહીંથી વેચાય છે.
        અથાણાંની અવનવી વેરાયટી માટે તેઓ જાતે જ વિચારે છે,સતત નવાનવા અખતરાઓ કરતાં રહે છે.બીજાં બહેનોને પણ રોજગારી આપે છે. અથાણાંની સીઝન વખતે તો ૧૫થી ૨૦ બહેનો અહીં કામ કરીને આવક મેળવે છે.તે બહેનોનાં ઘરના લોકોને પણ આ કુટુંબ ઉપર ખૂબ ભરોસો છે. કામમાં રાતે મોડું થાય તો દમયંતીબહેનના દીકરા વિજયભાઈ જાતે આ બહેનોને ઘરે મૂકવા જાય છે. દમયંતીબહેનનો પરિવાર આ બહેનોને કામદાર નહીં,કુટુંબી જ માને છે. તે બહેનો પણ દમયંતીબહેનનેબાઇકહે છે.
        માલ એક્સ્પોર્ટ કરવામાં ન માનતાં દમયંતીબહેન કારણ જણાવે છે કે તેમ કરવાથી માલની ગુણવત્તા ઉપર અસર થાય,સ્વાદ બદલી જાય.આ વ્યવસાયની કડવી-મીઠી વાતો કરતાં તેઓ કહે છે કે અનુભવ બધું શીખવે છે.મારા પતિનું અકસ્માતમાં અચાનક અવસાન થયું. મારી તો ત્યારે હાલત ખરાબ થઈ ગયેલી.પણ મારાં સંતાનોએ બધું સંભાળ્યું. તે સમયે પણ બહુ કફોડી પરિસ્થિતિ થયેલી.મારા પતિ રિક્ષામાં અથાણાંની ફેરી કરતા એટલે માલ વધારે બનાવતા.તેમનાં અવસાન પછી પુત્રે વધારે માલ બનાવ્યો. પણ ફેરી ના કરતાં ઘરેથી જ વેંચવાનું રાખ્યું. જેને લીધે કેટલોય માલ ખરાબ થઈ ગયો.પણ હું માનું છું કે ગમે તેવી ઠોકર વાગે, ચાલતા તો રહેવું જ.અનીતિ કયારેય ના કરવી.
દમયંતીબહેન માને છે કે મેં દુ:ખ અને ગરીબી જોઈ છે તેથી બીજાની એવી હાલત હોય તો હું સમજી શકું છું. એટલે જ તેઓ રોજનું કમાઈને રોજ ખાતા લોકો માટે અથાણાંનાં ખાસ નાનાં પેકેટ્સ બનાવે છે." શાક ના મળે તો કમસે કમ અથાણાંની સાથે તો રોટલી ખાઈ શકે." દમયંતીબહેન પૂરી સહાનુભૂતિ સાથે કહે છે.તેઓની સરળ ફિલોસોફી છે કે મકાન બનાવવાની વાત હોય કે સંસાર ચલાવવાની, બધું બિઝનેસ જ છે.દરેક બાબત માટે પાયાથી વિચારવું. કુદરત ઉપર પહેલો ભરોસો રાખવો. તેમની કુદરતને પ્રાર્થના પણ એટલી જ સરળ અને વાસ્તવિક છે." અમને શક્તિ આપજે કે અમે કાંઈ ખોટું ના કરીએ. અમને કાંઈ તકલીફ પણ ન પડવી જોઈએ. સામી વ્યક્તિને પણ સારી મતિ આપજે."
હસમુખો સ્વભાવ છે જમા પાસું !!
        ભૂતકાળની યાદો તાજી કરતાં દમયંતીબહેનની આંખો સતત વહેતી રહે છે. પણ તે આંસુ તેમનું ભવિષ્ય ધૂંધળું બનાવવાને બદલે ધોઈને નવાં સ્વપ્ન માટે સ્વચ્છ બનાવે છે.તેમને પ્રગતિની ઇચ્છા છે.સારા અને વિશ્વાસુ કામદારો મળે તો હજી કામ વધારવાનું પણ સપનું છે.આઈટમ્સ વધારવી છે.ધરતીકંપ સમયે બધો માલ દાનમાં આપી દેનારા આ પરિવાર પાસે પૈસો વધ્યો છે પણ મહેનત હજી ઘટી નથી.તેમના પુત્ર હજી પણ સવારે દુકાનમાં ઝાડુ-પોતાં કરતાં ખચકાતા નથી.વસ્તુઓના રેક્સ જાતે દિવસમાં બે વાર સાફ કરે છે."ક્યારેક થાકને લીધે ગુસ્સો આવી જાય તો ઘરમાં જ અમે એકબીજા ઉપર કાઢી લઈએ છીએ." દમયંતીબહેન કહેતાંકહેતાં મલકાઈ ઉઠે છે. સમાજે વિધવા માટે ઉભાં કરેલાં બંધનોને તે માનતાં નથી. "લગ્ન જ ના કર્યાં હોત તો બધું પહેરતી જ હોત ને? મારું દુ:ખ તો જેટલું છે તેટલું છે જ. ગયેલી વ્યક્તિ તો હવે પાછી આવશે જ નહિ." દમયંતીબહેનની આ ખુમારીએ જ તેમને સમાજમાં સમ્માનનીય સ્થાન અપાવ્યું છે.

        બહેનોને તેઓ સંદેશ આપવા માગે છે કે ધ્યેય તો મહેનતનું જ રાખવું.સુખમાં છકી ના જવું અને દુ:ખમાં હિંમત ન હારવી.કસોટી તો આવશે જ.છતાં કોઈપણ બિઝનેસ નીતિથી કરવો. તો તેનું પરિણામ સારું જ આવશે.ભૂતકાળને હંમેશાં યાદ રાખીને બધા સાથે વર્તન કરવું. એક સમયે એક કિલો માલ વેંચાય તો ઉજવણી કરતાં દમયંતીબહેન આજે પોતાની દુકાનમાં અન્ય વેપારીઓના માલને વેંચાણ માટે રાખતાં થઈ ગયાં છે. તેનો યશ તેમની સાચી નીતિ, તનતોડ મહેનત અને અડગ હિંમતને છે.નાનીનાની મુશ્કેલીઓથી ત્રાસીને આત્મહત્યા જેવું આખરી પગલું ભરતા લોકો માટે દમયંતીબહેન ધીરજનું એક અનન્ય ઉદાહરણ છે તેમાં બેમત નથી.
                                              ('કચ્છમિત્ર' દૈનિકમાં 'સાફલ્યગાથા' કોલમમાં પ્રકાશિત.)

Thursday, January 15, 2015

અદભૂત આત્મવિશ્વાસ અને અનન્ય આત્મબળનું પ્રતીક


        કમ્પ્યુટર, ફૂડ એન્ડ ન્યુટ્રીશન અને કોસ્ચ્યુમ ડીઝાઈનીંગ એન્ડ ડ્રેસ મેકિંગમાં ડિપ્લોમા, મહેંદી, ડ્રોઈંગ, પેઈન્ટીંગ, ગૃહસુશોભનની અગણિત વસ્તુઓ, મીણની જાતજાતની વસ્તુઓ, ગ્લાસ એન્ડ સેન્ડ પેઇન્ટીંગ, જ્વેલરી ડીઝાઈનીંગ, મડવર્ક, સોફ્ટ ટોયઝ, ભરત-ગૂંથણ, મીઠો અવાજ. વકતૃત્વકળા, મસ્તીખોર સ્વભાવ, અસામાન્ય આત્મવિશ્વાસ, હકારાત્મક
 કુંજલ છાયા
અને હસમુખ વ્યક્તિત્વ, ઓસ્ટીઓજીનેસીસ ઈમ્પરફેક્ટા નામની હાડકાંની ગંભીર બીમારી... આ બધી બાબતનો સરવાળો એટલે હજી ત્રીસી પણ વટાવી નથી અને વ્હીલચેરમાંથી ક્યારેય પગ જ નીચે નથી મૂક્યો એવી કુંજલ પ્રદીપ છાયા.
        જેના પાસે જિંદગી માટે હંમેશાં ફરિયાદો જ હોય, નાની નાની બાબતો માટે જીવનથી હારી જનારા લોકો જો એક વાર પણ કુંજલને મળે તો તેઓ હંમેશ માટે ફરિયાદ કરવાનું ભૂલી જાય, એટલું જ નહિ, કુદરતે આપેલી પોતાની જિંદગીને પ્રેમ કરવા લાગે,
        પારાવાર શારીરિક તકલીફો વચ્ચે, અત્યંત ખુમારી અને આનંદથી રહેતી કુંજલ પોતાના ખૂબ જ ગંભીર રોગને પણ હસી કાઢે છે. તે કહે છે : મારાં હાડકાં એટલાં બરડ છે કે થોડું પણ દબાણ આવે તો તરત જ ફ્રેક્ચર થઇ જાય. એટલે ફરજીયાત થોડા દિવસનો આરામ ! આટલું ઓછું હોય તેમ, વળી હસતાં હસતાં ઉમેરે છે : પહેલાં તો મને એટલાં ફ્રેક્ચર થતાં કે મેં ત્યારે પહેરવાનો ગાઉન જ અલગ રાખી દીધો હતો અને એનું નામ રાખેલું ફ્રેક્ચર ગાઉન ! આવું મક્કમ માનસિક મનોબળ ધરાવતી કુંજલ સામે તેની ગંભીર શારીરિક બીમારી પણ હારી જાય છે.
        મૂળ કચ્છના ગાંધીધામની વતની કુંજલના પિતા સરકારી કર્મચારી હોવાથી વારંવાર બદલી થયા કરે. એટલે કુંજલને અલગ અલગ સ્થળોએ ભણવાનો અનુભવ અને તક મળ્યાં છે. પણ જ્યાં સહુથી વધુ સંવેદનશીલતાની આશા હોય તેવી શિક્ષણસંસ્થાઓમાંથી સહુથી વધુ કડવા અનુભવો થયા છે. તે કહે છે : મારી સાથે એવો અમાનવીય અને ખરાબ વ્યવહાર થતો કે હું સતત રડતી જ રહેતી. મને સતત ઉતારી પાડવામાં આવતી. પણ પછી મને થયું કે આમ રડવાથી કશું નહિ થાય. હું જ મારી લીટી મોટી કરીશ. અને એ મોટી લીટી એટલે ધોરણ દસથી માંડીને તમામ ડીગ્રી-ડિપ્લોમામાં મેળવેલા ડીસ્ટીનક્શન માર્ક્સ. સાથે વક્તૃત્વ, ગીત જેવી ઈતર પ્રવૃત્તિઓમાં શબ્દશઃ કોથળો ભરીને મેળવેલાં ઇનામો! માતા વર્ષાબહેન મીઠા ગુસ્સા સાથે ફરિયાદ કરે છે : જ્યારે બદલી થાય ત્યારે બીજો સામાન ગોઠવાઈ જાય. પણ કુંજલનો સામાન માંડ ઠેકાણે પડે ! કુંજલ તરત જ પોતાનો બચાવ કરતી ટહૂકી ઉઠે છે : અરે મમ્મી, મારા ક્લાસ શરૂ થઇ જવા દે એક વાર.”  ૫૯ પ્રકારની મીણબત્તી બનાવી જાણતી કુંજલ પોતાની બધી જ કળા હોબી કલાસનાં માધ્યમથી બીજાને શીખવે પણ છે.
        કુંજલનો પહેલો પ્રેમ છે ફેશન ડીઝાઈનીંગ. તેને પોતાને પણ સરસ ફેશનેબલ કપડાં પહેરવાનો ખૂબ શોખ છે. પોતાના શોખની વાત કરતાં કુંજલનો ચહેરો ખીલી ઉઠે છે. તે કહે છે : મને ફાવે તેવું ચૂડીદાર સીવી આપવા કોઈ દરજી તૈયાર જ ના થાય. પણ મને તો ગમે તેમ થાય તે પહેરવાનો શોખ પૂરો કરવો જ હતો. એટલે મેં વિચાર્યું કે હું જાતે જ મારાં કપડાં બનાવીશ.” અને તેણે કોસ્ચ્યુમ ડીઝાઈનીંગ એન્ડ ડ્રેસ મેકિંગમાં ડિપ્લોમા કોર્સ કર્યો.
        સંયુક્ત કુટુંબમાં ખૂબ લાડપ્યારથી ઉછરતી કુંજલ પોતાના પરિવારને ખૂબ ચાહે છે. કોઈ પૂછે કે તમે કેટલાં ભાઈબહેન? તો કુંજલ પિતરાઈ ભાઈબહેનોને પણ ગણીને જવાબ આપે. અત્યારે જયારે સંયુક્ત કુટુંબો તૂટી રહ્યાં છે ત્યારે કુંજલનો પરિવાર સંપ અને પ્રેમનું ઉદાહરણ પૂરું પાડે છે. તેમાં પણ સહુની લાડકી કુંજલને બધાનો દિવસમાં એક વાર તો ફોન આવે આવે અને આવે જ.
માતાપિતા સાથે પણ કુંજલને ભાઈબંધી છે. વર્ષાબહેન કહે છે : બાળકને માતા સાથે નાળનો સંબંધ હોય છે એ વાત અમારા કિસ્સામાં એકદમ સાચી છે. કુંજલને તરસ લાગી હોય તો મને પણ લાગે જ. હું તેને પાણી આપું ત્યારે કુંજલને નવાઈ લાગે કે તને કેમ ખબર પડી? એવો જ સંવેદનાસભર સંબંધ છે પિતા સાથે. પ્રદીપભાઈ સતત એ જ વિચારતા હોય કે કુંજલને તકલીફ કેમ ઓછી પડે, એ માટે એ આભ-જમીન એક કરવા તૈયાર હોય. ગાડીમાં તેમણે જાતજાતના ફેરફાર કરાવ્યા છે, જેથી કુંજલ કલાકો સુધી મુસાફરી કરે તો પણ તેને વાંધો નથી આવતો.
વાતો કરવાની અત્યંત શોખીન કુંજલ સોશિયલ વેબસાઈટ ઉપર બહોળું મિત્રવર્તુળ ધરાવે છે. ઇન્ડીયન આઈડોલમાં ભાગ લેવા એ અમદાવાદ ગઈ હતી ત્યારે ત્યાંના તેના નેટમિત્રો ખાસ તેને રૂબરૂ મળવા આવેલા. વ્હીલચેરમાંથી ક્યારેય પગ પણ નીચે નથી મૂક્યો એવી કુંજલ માટે મોબાઈલ અને ઈન્ટરનેટ આશીર્વાદરૂપ છે. આ માધ્યમોનો તે શ્રેષ્ઠ ઉપયોગ કરે છે.
જેણે કુંજલને વ્હીલચેર સાથે કાયમ માટે જકડી લીધી છે, તેવા રોગને કુંજલ ખુશી અને ખુમારીથી લડત આપે છે. એટલું ઓછું હોય તેમ એ રોગને પડકાર આપતી હોય તેમ સપનાં પણ પડકારવાળાં જુવે છે. તેને ભવિષ્યમાં એક્સપોર્ટ હાઉસ ઉભું કરવું છે. પોતાની સાથે બીજી બહેનોને પણ આવક મળે તેવું જૂથ બનાવવું છે. જેથી તે બહેનો સ્વનિર્ભર બને. પોતાના જેવા શારીરિક પડકારો સાથે જીવતા લોકો માટે અનુકૂળ રહે તેવાં કપડાં ડીઝાઈન કરવાં છે. એક સફળ ગાયિકા પણ બનવું છે.

દોસ્ત કુંજલ, તમારું એક્સપોર્ટ હાઉસ લોકોને આવક આપશે, પણ તેનાથી વધુ તો તમે પોતે બીજા લોકોને આત્મવિશ્વાસ આપો છો. તમારી આ ખુમારી અને આત્મવિશ્વાસ, બધી સગવડો છતાં આળસુ અને ફરિયાદી બનીને જીવતા લોકોને વધુને વધુ શરમાવે તેવી શુભેચ્છા.
                                  ('કચ્છમિત્ર' દૈનિકમાં 'સાફલ્યગાથા' કોલમ તરીકે પ્રકાશિત)

Thursday, October 2, 2014

લાલકોરબાની યાત્રા

લાલકોરબાની યાત્રા

આશાપરથી ઈટાલી
સોય - દોરાના સંગાથે

        કોઈ સ્ત્રી એમ કહે કે લગ્નનાં દોઢ વર્ષમાં જ મારા પતિ મૃત્યુ પામ્યા ત્યારે સાંભળનારને જરૂર સહાનુભૂતિ થાય. જ્યારે એ સ્ત્રી એમ ઉમેરે કે વિધવા થઈ ત્યારે મારી ઉમર હતી ૧૪ વર્ષ. ત્યારે તો સાંભળનારને અરેરાટી થઇ જાય.

        આ કોઈ ટી.વી. ધારાવાહિકની વાત નથી. આ સત્યઘટના છે લાલકોરબાનાં જીવનની. કચ્છ જિલ્લાના લખપત તાલુકાનાં આશાપર ગામનાં વાતની અને જીવનનાં પચાસ વર્ષ વટાવી ચૂકેલાં લાલકોરબા પોતાનાં જીવનની આ દુ:ખદ યાદોમાં ખોવાઈ જતાં થોડાં ઉદાસ થઈ જાય છે.૭૧ની લડાઇ સમયે પાકિસ્તાનમાંથી પહેરેલે કપડે ભાગી છૂટેલા આ સોઢા પરિવારો પાસે કંઈ જ મૂડી નહોતી. કુટુંબની નબળી આર્થિક સ્થિતિને લીધે લાલકોરબાનાં લગ્ન તેમનાથી સોળ વર્ષ મોટા, ક્ષયપીડિત પુરૂષ સાથે થયેલાં.જે લગ્નના દોઢ વર્ષમાં જ અવસાન પામ્યા. હવે કુટુંબમાં તો બે દેર સિવાય કોઈ જ નહોતું. તેઓ ત્રણે અન્ય કુટુંબો સાથે ભારત આવવા પગપાળા નીકળી પડ્યાં. ઊંટ હતા પણ તેના ઉપર ગર્ભવતી અને નાનાં બાળકોવાળી સ્ત્રીઓ બેસતી. દરરોજના પાંચ ગાઉ કાપીને તેઓ સહુ પંદર દિવસે રાજસ્થાન પહોંચ્યાં.રસ્તાની હેરાનગતિની તો વાત જ ન થાય. ખાવા-પીવા-સૂવા, શેનાંય ઠેકાણાં નહીં.
        રાજસ્થાનથી ગુજરાતના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાનાં બિબ્બર ગામમાં ગયાં.ત્યાં પણ ઠરીઠામ થવાય એવું ન હોતાં, લખપત તાલુકાનાં કુરિયાણી અને ત્યાંથી માતાના મઢ ગયાં.છેવટે સાથેનાં પશુધન માટે કરીને,આશાપર ગામમાં તળાવ હોવાથી ત્યાં રહેવાનું નક્કી કર્યું.પહેલાં થોડા લોકોએ આશાપરમાં જાતે જ ભૂંગા બનાવ્યા અને પછી સહુ ત્યાં રહેવા ગયા.
        લાલકોરબાને પોતાની કોમના રીતિરિવાજોની મર્યાદા હોવાથી તેઓ બહાર કાંઈ કામ કરવા તો જઈ શકે તેમ નહોતાં. તેથી હાથનો હુન્નર એવું ભરત વેંચવાનું શરૂ કર્યું.ત્યારે કોઇનો ટેકો હતો નહીંવચેટીયાઓ આવે અને જેટલા પૈસા ચૂકવે તેનાથી સંતોષ માનવો પડતો. લાલકોરબાને પોતાની કોમનું પકો ભરત આવડે. પછી તેઓ હરિજન કોમનું નેરણ ભરત પણ શીખ્યાં.
        એ સમયે ત્યાં કચ્છ મહિલા વિકાસ સંગઠન નામની સંસ્થાનાં કાર્યકરો આવતાં. લાલકોરબાએ તેમની સાથે જોડાણ કર્યું.બીજાં કારીગર બહેનો પણ સંકળાયાં.આ સંસ્થા ભરતની ગુણવત્તા જળવાય તેની ખૂબ ચોકસાઈ રાખતી. તેમાં જરાય બાંધછોડ કરવામાં આવતી નહીં. એટલે ધીમેધીમે બીજાં કારીગર બહેનોએ કામ મૂકી દીધું. પણ લાલકોરબાએ કામ ચાલુ રાખ્યું.તેઓ આશાપરથી દયાપરની ઓફિસે જતાં થયાં.ઘણીવાર તેઓ માતાના મઢથી આશાપર એટલે કે ૧૮ જેટલા કિ.મી.ચાલતાં જતાં. કુટુંબનો તેમને ટેકો હતો.ગામલોકો ટીકા કરતા પણ સાથે એ પણ સમજતા કે લાલકોરબાને પૈસાની ખૂબ જરૂર છે.
        અત્યારે લાલકોરબા સંસ્થામાં બે દાયકા જેટલો સમય પૂરો કરવાની નજીક છે. હવે તેઓ ભરતકામની સાથે બચત, શિક્ષણ,આરોગ્ય અને કાયદાના મુદ્દે પણ કામગીરી કરે છે. એક સમયે ઘરની બહાર પણ ના નીકળનાર લાલકોરબા કારીગર પ્રતિનિધિ તરીકે વિવિધ પ્રદર્શનોમાં બેંગલુરૂ, પૂના, દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ, કલકત્તા જઈ આવ્યાં છે. એટલું જ નહીં, ઈટાલી પણ જઈ આવ્યાં છે. ત્યાં "આ મશીનનું ભરત છે" તેમ માનતા લોકો સામે તેમણે ભરત ભરીને બતાવ્યું હતું.
        તેઓને પાસપોર્ટ માટે ઘણી તકલીફો પડી હતી.આશાપર ગામનાં બહેનોએ તો લાલકોરબાને પાસપોર્ટ મળી જાય તે માટે માનતાઓ રાખી હતી ! લાલકોરબા માટે આ પાસપોર્ટ બેવડી ખુશી લઈ આવેલો. કેમ કે, તે ઈટાલીની સાથે લાલકોરબાને પોતાના પરિવારને મળવા માટેનો પણ પરવાનો હતો. ૧૯૭૧ પછી પહેલીવાર લાલકોરબા પાકિસ્તાનમાં રહેતાં પોતાનાં કુટુંબને મળવા જઈ શક્યાં. એ માટે તેઓ સંસ્થાનો અને તેના કાર્યકરોનો ખૂબ આભાર માને છે. કેમ કે તેઓ ના હોત તો પાસપોર્ટ મેળવવો લગભગ અશક્ય બની જાત.
        પોતાની કોમ અને પોતાના જ વિસ્તારના લોકો સાથે કામ કરવું ઘણું અઘરું હોય છે. ખાસ કરીને જ્યારે તે કામ સાથે પૈસા જોડાયેલા હોય. પણ, લાલકોરબા આ કસોટીમાંથી સાંગોપાંગ પાર ઉતર્યાં છે.તેઓ પોતાની દેરાણી કે ભત્રીજીનાં ખરાબ ભરતના પૈસા એક પણ ક્ષણ વિચાર્યા વિના કાપી લે છે.યોગ્ય ના લાગે તો તેમને કામ ના પણ આપે કે ના તો સંસ્થાને એમ કરવાની ફરજ પાડે. એટલે જ આખાં લખપતમાં તેમનું ખૂબ જ માન છે. ગામનાં અન્ય બહેનો તથા લખપતનાં ૧૫ ગામો લાલકોરબાને લીધે જ સંસ્થા સાથે જોડાયાં છે. હવે તો તેઓ જરૂર પડે ગામોમાં રાત પણ રોકાય છે. આશાપરની બહેનોના ઘરના લોકો લાલકોરબા સાથે હોય છે એટલે જ પોતાની બહેનોને ગમે ત્યાં જવા આપે છે.
        લાલકોરબા કોઈથી ગભરાતાં નથી. લોકો શું કહેશે? તેવું વિચારતાં નથી.પોતાનાં વિધવા દેરાણીને આંગણવાડી સંભાળવા તૈયાર કર્યાં છે. તેઓ માને છે કે :"બારે નીકળીને કાંઈ ખરાબ ના થાય. આપણામાં તાકાત હોવી જોઈએ.સમાજનો સામનો તો કરવો પડે." એક સમય હતો જ્યારે તેમને કોઇ પૈસા ઉધાર આપવા તૈયાર નહોતું. હવે લાલકોરબા પાસે લોકો પૈસા ઉધાર લેવા આવે છે.તેઓની ખાસિયત છે કે કોઇ કામને નાનું ન ગણવું.
એટલે જ ગામનાં આગેવાન હોવા છતાં તેઓ સંસ્થાના કાર્યકરના સ્તરનું કામ કરી લે છે. તેમને કચ્છ કૌશલ્યા પારિતોષિક પણ મળેલું છે. એટલું જ નહીં, કચ્છ મહિલા વિકાસ સંગઠનના હસ્તકલા યુનિટ કસબ સાથે લાલકોરબાનો એવો તો દિલનો નાતો છે કે કસબની કારોબારીમાં તેમને ગામની બહેનોએ પસંદ કર્યાં છે.

        લાલકોરબામાં પણ ઘણાં દૂષણો,વ્યસનો હતાં. તેની સાથે લડીને અને સંસ્થાના કાર્યકરોના ટેકાથી તેમાંથી તેઓ બહાર આવી ગયાં છે.પોતે તો આગળ વધ્યાં જ,સાથે બીજાં બહેનોને પણ આગળ લાવવામાં તેમનો મોટો ફાળો છે.
('કચ્છમિત્ર' દૈનિકમાં 'સાફલ્યગાથા' કોલમ તરીકે પ્રકાશિત)